સરકારનો લેખિતમાં જવાબ: ગુજરાતમાં 2.83 લાખ બેરોજગાર, સરકારી ભરતીના આંકડા રોજગાર કચેરી પાસે નથી
દેશમાં બેરોજગારીને લઈને રાજકારણમાં ગરમાવો છે. શાશક અને વિપક્ષ વચ્ચે બેરોજગારીને લઈને આક્ષેપો થઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં સરકારી ચોપડે નોંધાયેલા બેરોજગારીના આંકડા સામે આવ્યાં છે. વિધાનસભામાં સરકારે બેરોજગારોના આંકડાની વિગતો જાહેર કરી છે. ગુજરાતમાં સરકારી ચોપડે કુલ 2 લાખ 83 હજાર 140 બેરોજગરો નોંધાયેલા છે. જ્યારે 2 લાખ 70 હજાર 922 શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે.
કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 12218 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જ્યારે સરકારે 4 લાખ 70 હજાર 444 લોકોને ખાનગી રોજગારી આપવામાં સહાય કરી છે. સરકારી નોકરીના આંકડાઓ રોજગાર કચેરી પાસે ના હોવાનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે.
બીજી તરફ સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાના સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે, હાથશાળ અને હસ્તકલા માટે ઇન્ડેક્સ સી કચેરી દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય બહાર સરકારે હસ્તકલા કારીગરો માટે 15 મેળા યોજ્યા છે. રાજય બહાર 2021માં યોજાયેલા 9 મેળામાં 737 હસ્તકલાકારોએ મેળામાં ભાગ લીધો છે.2022 યોજાયેલા 6 મેળામાં 494 હસ્તકલાકારોએ રાજય બહાર મેળામાં ભાગ લીધો છે. રાજય બહાર યોજાયેલા મેળામાં 1061.26 લાખનું વેચાણ હસ્તકારીગરો દ્વારા તૈયાર કરેલી સામગ્રીનું વેચાણ થયું છે.