૧૦૮ યુવાનો દ્વારા ગુજરાતની વિધાનસભામાં પોતાના વિચાર રજૂ કર્યા
૨૯મી માર્ચ ૨૦૨૫ની રોજ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત, માય ભારત ગુજરાત દ્વારા ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સ્તરીય વિકસિત ભારત યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના શીર્ષ ૧૦ યુવાનો દ્વારા બંધારણના ૭૫ વર્ષની યાત્રા વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં કુલ ૧૦૮ યુવાનો ઉપસ્થિત થયા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા યુવાઓને એક શ્રેષ્ઠ નેતા, વક્તા બનવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં વિશિષ્ઠ અતિથિ તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી શ્રીમતી મીરાબેન પટેલ, ગુજરાત રાજ્યના રાજ્ય નિર્દેશક શ્રી દુષ્યંત ભટ્ટ, રાષ્ટ્રીય સેવા યોજનાના ક્ષેત્રીય નિર્દેશક શ્રી કમલ કુમાર કર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જ્યુરીમાં શ્રી કુંતલ નિમાવત, શ્રીમતી અંજલીબેન પટેલ, શ્રી ભરત ઢઢિયા, શ્રી અશ્વિન ત્રિવેદી અને શ્રી ઉત્સવ પરમાર દ્વારા સેવા આપવામાં આવી હતી. રાજ્ય સ્તરીય યુવા સંસદમાં કચ્છની આયુષી કેનિયાએ પ્રથમ સ્થાન, વડોદરાની સોનાલીકા નિગમે દ્વિતીય સ્થાન અને ગાંધીનગરના પ્રથમ ટાકોલિયાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું.
ત્રણ વિજેતાઓ કેન્દ્રીય હોલ સંવિધાન સદનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત દ્વારા જિલ્લા યુવા અધિકારીશ્રી ગાંધીનગરની કચેરીના સહયોગથી કરવામાં આવ્યું.