શાળાના સમયમાં ફેરફાર ઉપરાંત ઉનાળા દરમિયાન કોઇ ઓપન-એર- વર્ગો ન કરવા: જિલ્લા કલેકટર
ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જે મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે, જેથી શરીરમાં સનસ્ટ્રોક (લુ) લાગવાની શક્યતા ઘણી વધારે છે. જાહેર જનતાના હિતાર્થ સન સ્ટ્રોક (લુ) થી બચવા અંગે કલેક્ટરશ્રી, ગાંધીનગર દ્વારા હિટવેવ-૨૦૨૫ અંગે પૂર્વ તૈયારી કરવા બાબતે વહિવટી તંત્રને જરુરી સુચનો કરવામાં આવ્યા છે. એમાં પણ જ્યારે બાળકોની વાત આવે તો સનસ્ટ્રોકથી નાના બાળકોનો બચાવ ખૂબ જ અનિવાર્ય બની જાય છે.
જેના ભાગરૂપે ગુજરાત હિટવેવ એક્શન પ્લાન -૨૦૨૫ મુજબ કાર્યવાહી હાથ ધરવા તથા ખાસ હિટવેવને સાયલન્ટ ડીઝાસ્ટર તરીકે ગણવામાં આવતુ હોઇ ખાસ તકેદારીના પગલાં લેતા, શિક્ષણ વિભાગને હીટ વેવ સમયગાળા દરમિયાન બિનજરૂરી હોય તેવી પ્રવૃત્તિઓ ટાળી, જરૂરી સલામતીના પગલાં લેવા જેવા કે, પાણીની વ્યવસ્થા, પ્રાથમિક સારવાર અને શાળાના સમયમાં ફેરફાર ઉપરાંત શાળામાં આવતા બાળકોને હીટ વેવ અને તેનાથી થતી અસરોના બચાવ અંગે સમજણ આપવા નિવેદન કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉનાળા દરમિયાન કોઇ ઓપન-એર- વર્ગો ન કરવા અને આ સુચનાઓની કડક પણે અમલવારી કરવા કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા જણાવવામાં આવ્યું છે.