ગાંધીનગર કલેકટરે દહેગામ મામલતદાર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત
ગાંધીનગર કલેકટર મેહુલ કે. દવેએ આજે દહેગામ મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે જનસેવા કેન્દ્ર, આધાર કેન્દ્ર, ઈ-ધરા શાખા અને સબરજીસ્ટ્રાર કચેરીની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની ચકાસણી કરી હતી. અરજદારો સાથે સંવાદ સાધીને તેમણે પ્રતિભાવો મેળવ્યા હતા અને સારો પ્રતિસાદ મળતા ખુશી વ્યક્ત કરી હતી. વર્તમાન ગરમીને ધ્યાને લઈ કલેકટરે સબરજીસ્ટ્રાર અને મામલતદાર કચેરીમાં અરજદારો માટે બેઠક અને પીવાના પાણીની વ્યવસ્થા સુધારવા સૂચના આપી હતી. કર્મચારીઓએ સમયસર હાજર રહેવા અંગે પણ તેમણે તાકીદ કરી હતી. કલેકટર દવેએ જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં કર્મચારીઓનું યોગદાન મહત્વનું છે. તેમણે પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધતા પર પણ ભાર મૂક્યો હતો. જિલ્લાના વડા તરીકે તેઓ નિયમિતપણે કચેરીઓની મુલાકાત લઈ વ્યવસ્થા અને કામગીરીનું મૂલ્યાંકન કરે છે. આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા અને મામલતદાર હેતલબા ચાવડા પણ તેમની સાથે જોડાયા હતા.