Operation Sindoorમાં સામાન્ય નાગરિકોને નુકસાન નહીં: ભારતીય સેના
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ઓપરેશન સિંદૂર હાથ ધર્યું છે. સેનાએ રાત્રે આશરે પોણા બે વાગ્યે થલ અને વાયુસેનાના સંયુક્ત ઓપરેશનમાં આતંકવાદીઓના કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી તેમને નષ્ટ કર્યા છે. ભારતના વિદેશ સચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પહલગામ હુમલાનો સીધો સંબંધ પાકિસ્તાન સાથે છે અને આ હુમલાની જવાબદારી TRF નામના આતંકવાદી સંગઠને લીધી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત સ્થળ બની ગયું છે અને હુમલાના 15 દિવસ પછી પણ પાકિસ્તાને કોઈ કાર્યવાહી કરી નથી. વિદેશ સચિવે વધુમાં જણાવ્યું કે ભારતે પોતાના નાગરિકોની સુરક્ષા માટે જવાબદારીપૂર્વક આ કાર્યવાહી કરી છે અને તે કોઈ પણ રીતે ઉશ્કેરણીજનક નથી. ભારતે આતંકવાદ સામે લડવા અને પોતાનો બચાવ કરવાનો અધિકારનો ઉપયોગ કર્યો છે.