અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલિશન
અમદાવાદમાં ગેરકાયદે દબાણો વિરુદ્ધ તંત્રની કાર્યવાહી વધુ વેગવંતી બની છે. ચંડોળા તળાવ પાસેના ડિમોલિશન બાદ હવે બાપુનગર વિસ્તારમાં તંત્રએ મોટા પાયે સપાટો બોલાવ્યો છે. ગુરુવારે (૨૯ મે) સવારથી જ અકબરનગર વિસ્તારમાં આવેલા આશરે ૪૦૦થી વધુ કાચા-પાકા મકાનો અને દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ વિસ્તારના રહેવાસીઓને ગેરકાયદે બાંધકામો ખાલી કરવા માટે પહેલાથી જ નોટિસ પાઠવવામાં આવી હતી. AMC પાસેથી મળેલી માહિતી મુજબ, ઘણા લોકોને વટવા વિસ્તારમાં સરકારી વસાહતોમાં મકાનો ફાળવવામાં આવ્યા હોવા છતાં, તેમાંથી અનેક લોકો ફરીથી અકબરનગરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરવા લાગ્યા હતા. આ કાર્યવાહીથી ગેરકાયદે દબાણો સામે તંત્રનો મક્કમ નિર્ધાર સ્પષ્ટ થાય છે.