મહેસૂલ તલાટી ભરતી: અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી
ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેર કરાયેલી મહેસૂલ તલાટીની ૨૩૮૯ જગ્યાઓની ભરતી માટે અરજી કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. અગાઉ ૧૦ જૂન, ૨૦૨૫ અંતિમ તારીખ હતી, પરંતુ હવે ઉમેદવારો ૧૨ જૂન, ૨૦૨૫ (ગુરુવાર) રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ૨૩ મે, ૨૦૨૫ ના રોજ ભરતીનું નોટિફિકેશન બહાર પડ્યા બાદ, ૨૬ મેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. GSSSB દ્વારા આપવામાં આવેલી આ વધારાની બે દિવસની મુદત એવા ઉમેદવારો માટે લાભદાયી છે જેઓ હજુ સુધી અરજી કરી શક્યા નથી અથવા ફોર્મ ભરવામાં બાકી છે. પરીક્ષા ફી ભરવા માટેની અંતિમ તારીખ ૧૩ જૂન, ૨૦૨૫ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધીની રહેશે. રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો Ojasની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પરથી અરજી કરી શકે છે. આ નિર્ણયથી વધુ ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળશે.