અમદાવાદમાં જગન્નાથજીની જળયાત્રા ભક્તિભાવપૂર્વક સંપન્ન
આગામી 27 જૂને યોજાનારી 148મી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે, અમદાવાદમાં જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી વાજતેગાજતે નીકળેલી આ યાત્રા નદીમાંથી જળ લઈને પરત ફરી હતી. મંદિરે પરત ફર્યા બાદ સાધુ-સંતો, યજમાનો અને ભક્તો દ્વારા ભગવાનને પંચદ્રવ્ય સ્નાન કરાવવામાં આવ્યું હતું, જેમાં દૂધ, દહીં, ખાંડ, ઘી અને મધનો ઉપયોગ થયો હતો. સ્નાનવિધિ બાદ ભગવાનને વર્ષમાં એકવાર પહેરાવવામાં આવતો મનોહર ગજવેશ ધારણ કરાવાયો હતો. ત્યારબાદ પરંપરા મુજબ ભગવાન સરસપુર સ્થિત મોસાળ પધાર્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. હવે ભગવાન અમાસ સુધી મોસાળમાં જ બિરાજમાન રહેશે.