પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોક: અંતિમ સંસ્કાર રાજકોટમાં, પુત્ર ઋષભ ગાંધીનગર પહોંચ્યા
ગાંધીનગર: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કરુણ નિધનના સમાચારથી સમગ્ર રાજ્ય અને દેશમાં રાજકીય શોકનો માહોલ છવાયો છે. આજે વહેલી સવારે તેમના પુત્ર ઋષભ રૂપાણી અમેરિકાથી ગાંધીનગર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, તેમના પત્ની અંજલિબહેન રૂપાણી શુક્રવારે (૧૩ જૂને) લંડનથી સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા.
ઋષિકેશ પટેલ, પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપના અનેક રાજકીય નેતાઓ અને સગા-સંબંધીઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે શોક વ્યક્ત કરવા પહોંચી રહ્યા છે. દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર તેમના વતન રાજકોટમાં પૂરા રાજકીય પ્રોટોકોલ સાથે કરવામાં આવશે. વિજયભાઈના બહેનના DNA સેમ્પલ લેવાયેલા છે, અને તે મેચ થયા બાદ અંતિમ સંસ્કારની તારીખ જાહેર કરાશે.
તેમનો પાર્થિવ દેહ ગાંધીનગર નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ અંતિમયાત્રા રાજકોટમાં પ્રકાશ સોસાયટી સ્થિત તેમના નિવાસસ્થાનેથી પ્રસ્થાન કરશે અને તેમના બાળપણના સ્થળ દિવાનપરા સુધી પણ પહોંચશે. આ માટે રાજકોટમાં વિવિધ ટીમો દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. ૧૨ જૂને સર્જાયેલી આ દુર્ઘટનામાં વિજય રૂપાણીનું કરુણ મોત નીપજતા રાજકોટમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, અને આજે બપોરે ૨ વાગ્યા સુધી બજારો સહિત સ્વૈચ્છિક બંધનો નિર્ણય વિવિધ સંસ્થાઓએ લીધો છે.