માર્કેટ: ઇઝરાયલના હુમલા બાદ ભારતમાં ‘બ્લેક મંડે’ની શક્યતા
નવી દિલ્હી: મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓએ વૈશ્વિક બજારોમાં ગભરાટનો માહોલ સર્જ્યો છે. ગુરુવારે મોડી રાત્રે ઇઝરાયલે ઈરાનના મહત્ત્વપૂર્ણ લશ્કરી અને પરમાણુ ઠેકાણાને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા, જેની સીધી અસર શુક્રવારે શેરબજાર પર જોવા મળી.
શુક્રવારે અમેરિકન શેરબજાર વોલ સ્ટ્રીટમાં મોટો ઘટાડો નોંધાયો હતો, જેમાં S&P 500 ૧.૧% ઘટ્યો, ડાઉ જોન્સ ૧.૮% ઘટ્યો અને નાસ્ડેક ૧૦૦ ૧.૩% ઘટ્યો. ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને કારણે હાલ ભારત સહિત વિશ્વભરના બજારો ચિંતામાં છે. અગાઉ યુએસ-ચીન વેપાર વાટાઘાટોમાં પ્રગતિથી બજારમાં આશા હતી, પરંતુ હવે મધ્યપૂર્વના તણાવે તે નિષ્ફળ કરી દીધી છે.
આ વિવાદની ભારતીય શેરબજાર પર પણ ગંભીર અસર પડી છે. શુક્રવારે સેન્સેક્સ ૫૭૩ પોઈન્ટ ઘટીને ૮૧,૧૧૮ પર બંધ થયો, જ્યારે નિફ્ટી પણ લગભગ ૧૬૯ પોઈન્ટ ઘટીને ૨૪,૭૧૮ પર બંધ થયો. જો આ તણાવ ચાલુ રહેશે, તો સોમવારે બજારમાં મોટી ઉથલપાથલ થવાની અને ‘બ્લેક મંડે’ની શક્યતા સેવાઈ રહી છે. રોકાણકારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.