અરવલ્લીમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી: મેદસ્વિતા મુક્તિનો સંદેશ
મોડાસા: ૨૧મી જૂનના રોજ યોજાનારા ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગ વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ પામ્યો છે, અને આ વર્ષે “યોગ ફોર વન અર્થ, વન હેલ્થ” થીમ હેઠળ “સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના ધ્યેય સાથે ઉજવણી થશે.
મેદસ્વિતા જેવી સમસ્યા અંગે વડાપ્રધાનની ચિંતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેરાતને પગલે આ વર્ષે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. અરવલ્લી જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મોડાસા ખાતે પોલીસ હેડક્વાર્ટર્સમાં યોજાશે, જેમાં અંદાજિત ૨૫૦૦ લોકો જોડાશે.
આ ઉપરાંત, ધનસુરા, બાયડ, માલપુર, ભિલોડા અને મેઘરજ સહિત દરેક તાલુકા કક્ષાએ પણ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક શાળાઓ અને વિદ્યાલયો યજમાન બનશે. આ કાર્યક્રમો દ્વારા જિલ્લાભરમાં યોગનો પ્રચાર-પ્રસાર કરી, લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરાશે.