ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની જાણો તમારા ખિસ્સા પર કેવી રીતે પડશે અસર
નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં હવે અમેરિકાના પ્રવેશથી વૈશ્વિક તણાવ વધ્યો છે, જેની સીધી અસર ભારતના ગ્રાહકો પર પડી શકે છે. આગામી સમયમાં દેશમાં ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થવાની શક્યતા છે. ભારતમાં ઉપયોગમાં લેવાતા દર ત્રણમાંથી બે LPG સિલિન્ડર પશ્ચિમ એશિયામાંથી આયાત થાય છે.
ETના અહેવાલ મુજબ, અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ સ્થળો પર સંભવિત હુમલાનો ભય વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક ક્ષેત્રમાંથી સપ્લાય બંધ થવાનું જોખમ ઊભું કરી રહ્યો છે. છેલ્લા દાયકામાં ભારતમાં LPGનો વપરાશ બમણો થયો છે અને ૩૩ કરોડ ઘરો સુધી પહોંચ્યો છે, જેના કારણે આયાત નિર્ભરતા વધી છે. દેશની ૬૬% LPG જરૂરિયાત વિદેશથી પૂરી થાય છે, જેમાં ૯૫% હિસ્સો પશ્ચિમ એશિયાના દેશોનો છે. પેટ્રોલિયમ મંત્રાલયના ડેટા મુજબ, ભારત પાસે માત્ર ૧૬ દિવસના વપરાશ જેટલો LPG સ્ટોક છે, જે ચિંતાનો વિષય છે.