ગાંધીનગર

ગાંધીનગરમાં તસ્કરોનો આતંક: ચિલોડાની આવાસ યોજનામાંથી ₹૧.૫૭ લાખની ચોરી, એકસાથે ૩ બંધ મકાનો નિશાન બન્યા

ગાંધીનગર: ગાંધીનગર નજીક આવેલા ચિલોડામાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. શુભ લાભ આવાસ યોજનામાં ગત રાત્રે ચોરોએ એક સાથે ત્રણ બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા અને તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ ₹૧,૫૭,૦૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આ સાથે એક મકાન બહારથી બાઇકની પણ ચોરી થઈ છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, શુભ લાભ આવાસ યોજનામાં રહેતા લાલાભાઈ બારોટ જ્યારે તેમના સાસરીમાં ગયા હતા, ત્યારે પાડોશીએ તેમને ફોન કરીને ઘરનું તાળું તૂટેલું હોવાની જાણ કરી હતી. ઘરે આવીને જોતાં તેમના મકાનમાંથી ₹૧.૦૭ લાખની ચોરી થઈ હતી. આ જ વસાહતમાં રહેતા નિમેષ ક્રિશ્ચિયનના બંધ મકાનમાંથી ₹૭,૦૦૦ અને શ્રવણકુમારના બંધ મકાનમાંથી ₹૩૦,૦૦૦ની મત્તાની ચોરી થઈ હતી.

ચોરોએ ચોથી બંધ દુકાનનું તાળું તોડ્યું હતું, પરંતુ તેમાંથી કંઈ ચોરી શક્યા નહોતા. આ ઉપરાંત, વસાહતમાં રહેતા વિનોદકુમારનું બાઈક પણ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. એક જ વિસ્તારમાં એકસાથે આટલી ચોરી થવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. પોલીસે હાલ ફરાર થયેલા તસ્કરોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *