અમેરિકાનો ભારતને મોટો ઝટકો: ચાબહાર પોર્ટ પરની પ્રતિબંધોમાં આપેલી રાહત રદ્દ
ડોનાલ્ડ ટ્રમ્પના બેવડા વલણ વચ્ચે, અમેરિકાએ ફરી એકવાર ભારતને આંચકો આપ્યો છે. અમેરિકાએ ઈરાનના ચાબહાર પોર્ટ પર ૨૦૧૮માં લાદેલા પ્રતિબંધોમાંથી આપેલી રાહતને રદ્દ કરી દીધી છે. આ નિર્ણયની સીધી અસર ભારત પર થશે, કારણ કે આ પોર્ટના વિકાસ, સંચાલન અને વ્યવસ્થાપનની જવાબદારી ભારતે લીધી હતી. આ નિર્ણય ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫થી અમલમાં આવશે.
ભારતે ૨૦૦૩માં ચાબહાર પોર્ટનું સંચાલન હાથમાં લેવા પ્રસ્તાવ મૂક્યો હતો. આ પોર્ટ ભારતને પાકિસ્તાનની અવગણના કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સરળતાથી વેપાર કરવાનો માર્ગ પૂરો પાડે છે. ભારતે ૧૩ મે, ૨૦૨૪ના રોજ આ પોર્ટનું સંચાલન કરવા માટે ૧૦ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પોર્ટનું સંચાલન ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે.
અમેરિકન વિદેશ વિભાગના મુખ્ય ઉપ પ્રવક્તા થોમસ પિગોટે જણાવ્યું કે, આ પગલું ઈરાનને અલગ પાડવા માટે મહત્તમ દબાણ વધારવાની ટ્રમ્પની નીતિને અનુરૂપ છે. આ નિર્ણયનો હેતુ ઈરાનની આર્થિક ગતિવિધિઓને મર્યાદિત કરવાનો છે. તેમણે કહ્યું કે આ આદેશ અમલમાં આવ્યા બાદ ચાબહાર પોર્ટનું સંચાલન કરનારાઓ પર પણ પ્રતિબંધો લાગી શકે છે, જેનાથી ભારત પર સીધી અસર થશે.