ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ
ગાંધીનગર શહેર પછી હવે તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરીની ઘટનાઓ વધી રહી છે. ગાંધીનગર નજીક આવેલા ફિરોજપુર ગામમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવીને ₹૨.૭૦ લાખની કિંમતની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના વહેલી પરોઢે બની હતી, અને ચોરી કરીને ભાગતા ત્રણ ઇસમોને જોઈને પાડોશીએ પોલીસને જાણ કરી હતી.
ફિરોજપુર ગામમાં જોગણી માતાજીના મંદિર પાછળ રહેતા ભરતજી મોહનજી જાદવે આ સંદર્ભે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભરતજી હાલ તેમનું ગામનું મકાન બંધ રાખીને પરિવાર સાથે ખેતરમાં રહે છે.વહેલી પરોઢે તેમના ગામના મકાનની સામે રહેતા વ્યક્તિએ ભરતજીને જાણ કરી કે, ત્રણ ઇસમો બાઇક ઉપર ચોરી કરીને ભાગી ગયા છે અને મકાનના તાળા તૂટેલી હાલતમાં છે.ભરતજી અને તેમના ભાઈ તરત જ ગામના ઘરે પહોંચ્યા ત્યારે જોયું કે, મકાનના દરવાજાના નકુચા તૂટેલા હતા અને ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. તસ્કરોએ તેમના કાકા ભુપતજીના મકાનની અંદર આવેલી લોખંડની તિજોરી તોડીને તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ ₹૨.૭૦ લાખની મત્તા ચોરી લીધી હતી. ડભોડા પોલીસે આ ચોરીનો ગુનો દાખલ કરીને બાઇક ઉપર ફરાર થયેલા ત્રણ તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.