ગાંધીનગર

શાંતિગ્રામ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના નૂતન ભવનનો ઉદ્ઘાટન સમારોહ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો

એસ.જી. હાઈવે પર નર્મદા કેનાલના કાંઠે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શાંતિગ્રામ ખાતે તા. ૦૨ માર્ચ ૨૦૨૬ના રોજ ભવ્ય અને મંગલમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી અને પૂજ્ય સંતોની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત બિલ્ડીંગના પ્રવેશદ્વારે શિલાલેખનું અનાવરણ તથા નવીન બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા, સંતોના ચરણોમાં વંદન સાથે ઉપસ્થિત હરિભક્તો અને વિદ્યાર્થીઓને રંગ અને ઉમંગના ઉત્સવ હોળીની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે,આપણો પ્રાચીન ઇતિહાસ સાક્ષી છે કે હોળી એ સમાજમાં અજ્ઞાન, અનિષ્ટ અને અંધકારની સામે જ્ઞાન અને સંસ્કારનો અગ્નિ પ્રજ્વલિત કરતું પર્વ છે. સનાતન ધર્મ સંસ્કૃતિની અટલ આસ્થાની હજારો વર્ષોની આ જ્યોતનો પ્રકાશ સમાજમાં વધુ વ્યાપક બનાવવા માટે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આપણે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ઉજવી રહ્યા છીએ. એટલું જ નહીં, વડાપ્રધાન શ્રીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા ભારતને જ્ઞાન અને સંસ્કાર થકી સમૃદ્ધ બનાવવાની દિશા આપી છે. વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન પણ વિદ્યાર્થીઓને સમયાનુકૂળ શિક્ષણ પૂરું પાડે છે. અહીં વિદ્યાર્થીઓને આધ્યાત્મિક મૂલ્યોની સાથે ૨૧મી સદીના ભારત માટે આવશ્યક એવું સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશનનું નોલેજ મળે તે વર્તમાન સમયની માંગ છે.

આજે વિશ્વમાં ટેકનોલોજીની હરીફાઈ ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન શ્રીએ આપણા દેશને તેમાં અગ્રેસર કરવા અને સજ્જ કરવાની નેમ રાખી છે. આ માટે આગામી યુગની ટેકનોલોજી સમાન સેમિકન્ડક્ટર સેક્ટરમાં ગુજરાત હબ બને તેવી ઐતિહાસિક પહેલ તેમના નેતૃત્વમાં આપણે બે દિવસ પહેલાં સાણંદમાં માઈક્રોનના લોકાર્પણ પ્રસંગે જોઈ છે. આ જે ગૌરવવંતો ઇતિહાસ લખાઈ રહ્યો છે, તેમાં જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ સેમિકન્ડક્ટરમાં ખૂબ મોટી માંગ ઊભી થવાની છે. તેને પહોંચી વળવા માટે યુવાનો માટે ચીપ ડિઝાઇન, એ.આઈ. (AI), ઇલેક્ટ્રોનિક્સ તથા એડવાન્સ ટેકનોલોજીનો અભ્યાસ પણ અનિવાર્ય બનશે. હાલમાં અંદાજે ૩૫ જેટલી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ આ ચીપ ડિઝાઇનનો અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાતમાં આપણે આઈ.આઈ.ટી. (IIT) ગાંધીનગર સાથે સંયોજન કરીને ફેબ્રિકેશન લેબ પણ તૈયાર કરી રહ્યા છીએ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની આ શાંતિગ્રામ શાખા જો સંસ્કાર અને કૌશલ્યના સમન્વયથી સેમીકોન ઇન્ડસ્ટ્રીઝ માટે યુવાનો તૈયાર કરતા અભ્યાસક્રમો શરૂ કરે, તો તેનાથી ઉત્તમ કાર્ય બીજું કોઈ હોઈ શકે નહીં.

સ્વતંત્રતાના ઉદયકાળમાં ઈ.સ. ૧૯૪૮માં પૂજ્ય શાસ્ત્રીજી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સ્થાપેલું આ ગુરુકુળ આજે શિક્ષણની સાથે સંસ્કાર, આધ્યાત્મ અને રાષ્ટ્રપ્રેમનું એક પવિત્ર તીર્થ બની ગયું છે. એસ.જી.આર.એસ. (SGRS) ગુરુકુળની છાત્રાલય અને ગુરુકુળ પરંપરા આજે અનેક વિદ્યાર્થીઓને ભણતરની સાથે જીવન ઘડતરના પાઠ પણ શીખવે છે. આવી સંસ્થા માત્ર ડિગ્રી ધારકો જ નહીં, પરંતુ સંસ્કાર ધારકો અને સશક્ત સમાજ તથા સક્ષમ રાષ્ટ્રના આધારસ્તંભ સમાન યુવાધન તૈયાર કરવામાં મહત્વનું યોગદાન આપી રહી છે. ભગવાન સ્વામિનારાયણના આદર્શો – શિસ્ત, સેવા, સદાચાર અને સમર્પણની સાથે ટેકનોલોજી અને સંસ્કૃતિના સંકલનથી આ જ્ઞાન કેન્દ્રો વડાપ્રધાન શ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરશે.

માત્ર સાત વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ શૈક્ષણિક યાત્રાએ અત્યાર સુધી ૧.૯૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર આપ્યા છે, જેના પરિણામે અનેક પરિવારોના બાળકો અહીંથી ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક તથા ઉચ્ચ અધિકારી બનીને સમાજની સેવા કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત ૨૦૪૭’નો જે સંકલ્પ કર્યો છે, તેને સાકાર કરવા તેમણે ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ જેવી યુવા શક્તિના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શ્રી શાંતિગ્રામ સ્વામિનારાયણ ગુરુકુળ યુથ એમ્પાવરમેન્ટ માટે યુ.પી.એસ.સી. (UPSC) અને જી.પી.એસ.સી. (GPSC) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ સેન્ટર, સપોર્ટ એકેડમી અને અદ્યતન હોસ્ટેલ દ્વારા અભ્યાસની સુવિધા પૂરી પાડે છે. આજે જે નવનિર્મિત ભવન બન્યું છે તેનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, દાતાશ્રીઓ તો ભાગ્યશાળી છે જ, પરંતુ અહીં આવનારા ગરીબ અને મધ્યમ વર્ગના દરેક વિદ્યાર્થીઓ પર પણ ભગવાનના આશીર્વાદ કહી શકાય, કારણ કે આ સુવિધાયુક્ત ભવનમાં તેઓ અભ્યાસ કરી શકશે. સંસ્થાના માધ્યમથી વિદ્યાર્થીઓને ભગવાન દ્વારા આટલી ઉત્તમ સુવિધાઓ મળી રહી છે તેવો તેમણે સૂર વ્યક્ત કર્યો હતો. લેટેસ્ટ સુવિધાઓ સાથે તૈયાર થયેલા આ ભવનમાં ૪૦૦૦ વિદ્યાર્થીઓ ભણી શકે અને ૧૫૦૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં જે પણ વિદ્યાર્થી અભ્યાસ કરશે તેના પર ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ હંમેશા રહેશે અને તેઓ સમાજ તથા રાષ્ટ્ર માટે ઉપયોગી બને તેવી શુભેચ્છા પણ આ પ્રસંગે પાઠવવામાં આવી હતી. આ અવસરે પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી પોતાના આશીર્વચન પાઠવી સભાને લાભાન્વિત કર્યા હતાં‌.જેમાં તેમણે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંસ્થા માટે કરેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.અને તેમના દિર્ઘાયુ માટે પ્રાથના પણ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *