ગુજરાત

PM-JAY ના લાભાર્થીઓ માટે ડિજિટલ સારથી બન્યું ‘આયુષ્માન સારથી’ WhatsApp ચેટબોટ

ગાંધીનગર તા. ૧૫ જુલાઈ –
‌‌ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કરોડો લાભાર્થીઓની સુવિધા માટે એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલના ભાગરૂપે ‘આયુષ્માન સારથી’ નામનું WhatsApp ચેટબોટ કાર્યરત કરવામાં આવ્યું છે.
​ હવે લાભાર્થીઓએ કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લેવાની કે હેલ્પલાઈન નંબર પર લાંબી રાહ જોવાની જરૂર રહેશે નહીં. આ ચેટબોટ સેવા તદ્દન સરળ, સુરક્ષિત અને ૨૪ કલાક કાર્યરત છે, જે લાભાર્થીઓને આંગળીના ટેરવે તમામ સુવિધાઓ પૂરી પાડે છે.
‘આયુષ્માન સારથી’ ચેટબોટ દ્વારા લાભાર્થીઓ સીધા વોટ્સએપ દ્વારા PM-JAY યોજના હેઠળ પોતાની પાત્રતા ચકાસી શકે છે. આયુષ્માન કાર્ડ માટે નવી અરજી કરવી, કાર્ડ ડાઉનલોડ કરવું, જરૂર જણાયે eKYC કરવું અને કાર્ડને લોક કે અનલોક કરવાની સુવિધા તથા ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટેના ખાસ પર આયુષ્માન વય વંદના કાર્ડ સંબંધિત સેવાઓ પણ તેના પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ચેટબોટ થકી લાભાર્થીઓ ઉપલબ્ધ PM-JAY વોલેટ બેલેન્સ અને બાકી લાભની માહિતી મેળવી શકશે. આ સાથે PM-JAY યોજના અંતર્ગત અગાઉ લીધેલી સારવારનો ઇતિહાસ જોઈ શકશે તથા લાભાર્થી તેની આસપાસ આવેલી PM-JAY માન્ય હોસ્પિટલોની યાદી મેળવી શકશે. ચેટબોટ દ્વારા નવી ફરિયાદ નોંધાવવી, તેનું સ્ટેટસ જાણવું અને ફરિયાદ પાછી ખેંચવી, લાભાર્થી સહાય માટે કોલ-બેક મેળવવાની વિનંતી કરી શકે છે. લાભાર્થીઓ સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વખતે સેવાની ગુણવત્તા અંગે ડિજિટલ ફીડબેક પણ સબમિટ કરી શકે છે.
આયુષ્માન સારથી સેવાનો ઉપયોગ કેવી રીતે કરવો?
લાભાર્થીઓ સત્તાવાર QR કોડ સ્કેન કરીને સીધું WhatsApp ચેટબોટ ઓપન કરી શકશે અથવા મોબાઇલમાં અધિકૃત WhatsApp નંબર +91 72908 23838 સેવ કરી તેના પર *”Hi”*લખીને મેસેજ મોકલી આ સેવાનો લાભ લઈ શકે છે.
આ ડિજિટલ સેવા સમગ્ર રાજ્ય અને દેશના કરોડો જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, સાથે જ વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સમયસર બનાવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *