ધોરણ-12માં 100% પરિણામના લક્ષ્ય સાથે આર.જી. પટેલ કન્યા શાળાની આગવી પહેલ, વાલી માર્ગદર્શન બેઠકને મળ્યો ઉત્સાહજનક પ્રતિસાદ
ગાંધીનગર : શ્રીમતી આર.જી. પટેલ કન્યા માધ્યમિક તથા શ્રીમતી એસ.બી. પટેલ કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળા, ગાંધીનગર દ્વારા ધોરણ-12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓના શૈક્ષણિક વિકાસ અને વર્ષ 2026-27માં 100 ટકા પરિણામના લક્ષ્યને ધ્યાનમાં રાખી તા. 17 અને 18 જુલાઈ દરમિયાન વિશેષ *’પ્રોગ્રેસિવ ગ્રુપ વાલી માર્ગદર્શન મીટીંગ’*નું આયોજન કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં વધુ માર્ગદર્શન અને વિશેષ ધ્યાનની જરૂરિયાત ધરાવતી વિદ્યાર્થીનીઓના વાલીઓ સાથે સીધો સંવાદ સાધવાના હેતુથી યોજાયેલી આ પહેલને વાલીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો.
શાળાના આચાર્યા શ્રીમતી કલ્પનાબેન પટેલના હકારાત્મક અભિગમ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રીમતી અમિતાબેન મિશ્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં વિદ્યાર્થી, વાલી અને શિક્ષક વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આચાર્યા શ્રીમતી કલ્પનાબેન પટેલે જણાવ્યું હતું કે દરેક દીકરીમાં અસીમ ક્ષમતાઓ રહેલી છે. યોગ્ય સમયે શાળા અને પરિવાર તરફથી મળતું પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન દીકરીઓને શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા અપાવી શકે છે.
ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર તથા અંગ્રેજી વિષયના સિનિયર શિક્ષિકા શ્રીમતી અમિતાબેન મિશ્રાએ વાલીશ્રીઓને દીકરીઓમાં નિયમિતતા, અનુશાસન અને સતત અભ્યાસની ટેવ વિકસાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થી, વાલી અને શિક્ષકના સંયુક્ત પ્રયાસથી જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.
આ પ્રસંગે નિષ્ણાત વિષય શિક્ષકો દ્વારા દરેક વિષય અંગે વાલીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રોગ્રેસિવ બેચના આર્ટ્સ વિભાગના કન્વીનર શ્રી કમલેશભાઈ તથા કોમર્સ વિભાગના કન્વીનર શ્રી દર્શનભાઈએ પણ વિદ્યાર્થીનીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી સૌમિલભાઈ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળા પરિવારે ઉપસ્થિત તમામ વાલીઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે શાળા અને પરિવારના સંયુક્ત પ્રયાસોથી દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાની દિશામાં આ પ્રકારની પહેલ સતત ચાલુ રહેશે.

