ગાંધીનગર

GMERS હોસ્પિટલમાં સોરાયસિસ જાગૃતિ માસની સફળ ઉજવણી

ત્વચાના જટિલ રોગો પ્રત્યે સમાજમાં સમઝણ કેળવાય અને દર્દીઓ બિનજરૂરી સામાજિક કલંક મુક્ત થઈને યોગ્ય સારવાર મેળવે તેવા ઉમદા હેતુથી GMERS હોસ્પિટલના ત્વચારોગ વિભાગ દ્વારા 19 ઓગસ્ટ, 2026ના રોજ ‘સોરાયસિસ જાગૃતિ માસ’ ની ઉત્સાહભેર અને સફળ ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર જાગૃતિ અભિયાન વિભાગના વડા ડૉ. બેલા પઢિયાર મેડમ તથા મેડિકલ સુપરીન્ટેન્ડન્ટ ડૉ. મીતા પરીખ મેડમના કુશળ અને પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યું હતું. તેમના નેતૃત્વમાં હોસ્પિટલના તબીબી સ્ટાફે દર્દીઓ સુધી સાચી અને સચોટ માહિતી પહોંચાડવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન દર્દીઓ અને તેમના સગાંઓ સાથે સીધો સંવાદ સાધીને સોરાયસિસ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવામાં આવી હતી. સોરાયસિસ એક લાંબા ગાળાની સ્થિતિ છે, પરંતુ તે સંપૂર્ણપણે બિન-ચેપી છે,આ બાબત પર વિશેષ ભાર મુકીને લોકોમાંથી અસ્પૃશ્યતા કે ડરનો ભાવ દૂર કરાયો હતો.તથા સોરાયસિસના વિવિધ ક્લિનિકલ લક્ષણો અને ઉપલબ્ધ આધુનિક સારવાર વિકલ્પો દર્શાવતી પત્રિકાઓનું દર્દીઓ તથા તેમના સ્વજનોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપરાંત માત્ર દવા લેવાથી રોગ મટતો નથી, પરંતુ તબીબની સલાહ મુજબ નિયમિતપણે સારવાર ચાલુ રાખવી અને સમયાંતરે ફોલોઅપ કરાવવું કેમ જરૂરી છે તેની સમજણ આપવામાં આવી હતી. આ ઉજવણી માત્ર એક દિવસીય પ્રવૃત્તિ બની ન રહેતા, ઘણા દર્દીઓ માટે એક નવો આશાનો કિરણ સાબિત થઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે, ઉપસ્થિત દર્દીઓમાં સોરાયસિસ ચેપી નથી તેવા સત્યનો પ્રસાર થવાથી દર્દીઓમાં આત્મવિશ્વાસ વધ્યો અને સમાજના ખોટા ભય દૂર થયા.

સમયસર ત્વચારોગ નિષ્ણાતની સલાહ લેવા માટે પ્રોત્સાહિત થવાથી દર્દીઓ સચોટ સારવાર તરફ વળ્યા, જેનાથી તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન આવશે. GMERS હોસ્પિટલના ત્વચારોગ વિભાગની આ સ્વાસ્થ્ય લક્ષી પહેલ અત્યંત સરાહનીય અને સફળ રહી. આરોગ્ય સુવિધાઓ આપવાની સાથે સમાજને જાગૃત કરી દર્દીઓના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનું આ કાર્ય ભવિષ્યમાં એક આદર્શ કાર્ય સાબિત થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *