ગાંધીનગર કોર્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપોનો બોમ્બ ફૂટ્યો! મુખ્ય સરકારી વકીલ સહિત મદદનીશ સરકારી વકીલો સામે બાર એસોસિએશનની મુખ્યમંત્રીને ફરિયાદ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા કોર્ટમાં સરકારી વકીલોની કામગીરી અને કથિત ભ્રષ્ટાચાર અંગે ગાંધીનગર બાર એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ગંભીર ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં ગાંધીનગર જિલ્લાના મુખ્ય સરકારી વકીલ હિતેષ નવીનચંદ્ર રાવલ સહિત કેટલાક સરકારી વકીલો અને સંબંધિત વ્યક્તિઓ સામે ગંભીર આક્ષેપો કરી સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
બાર એસોસિએશનની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મુખ્ય સરકારી વકીલ સહિત કેટલાક લોકોની એક મંડળી બની કોર્ટમાં ચાલતા કેસોમાં આરોપીઓને આગોતરા જામીન, નિયમિત જામીન, નિર્દોષ છૂટકારો કે સજા સંબંધિત બાબતોમાં કથિત રીતે હસ્તક્ષેપ કરી પૈસાની લેવડદેવડ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપો છે. ફરિયાદમાં આક્ષેપોની કાયદેસર તપાસ કરવામાં આવે તો ગાંધીનગર કોર્ટમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારનું મોટું ચિત્ર બહાર આવી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.
ફરિયાદમાં મુખ્ય સરકારી વકીલ હિતેષ રાવલ લાંબા સમયથી આ હોદ્દા પર કાર્યરત હોવાનો ઉલ્લેખ કરી લાંબા સમયથી એક જ વ્યક્તિને મહત્વના સરકારી વકીલના પદ પર રાખવાથી પારદર્શિતા અને નિષ્પક્ષતા અંગે સવાલો ઊભા થાય છે તેવી રજૂઆત કરવામાં આવી છે.
બાર એસોસિએશને તેમની સેવાઓ સમાપ્ત કરી નવા સિરેથી પારદર્શક પ્રક્રિયા દ્વારા ગાંધીનગર જિલ્લાના સરકારી વકીલોની નિમણૂક કરવાની ઉગ્ર માંગ કરી છે.
ફરિયાદમાં મુખ્ય સરકારી વકીલ દ્વારા આગોતરા જામીન, નિયમિત જામીન તથા જમીન સંપાદનના વળતરના કેસોમાં કથિત રીતે વધુ પડતો રસ દાખવવામાં આવતો હોવા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
ખાસ કરીને જમીન સંપાદનના કેસો યોગ્ય રીતે નહીં ચલાવવાથી સરકારને આર્થિક નુકસાન થયું હોવાના આક્ષેપોની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
ફરિયાદમાં મુખ્ય સરકારી વકીલ તથા તેમના પરિવારજનો સાથે સંકળાયેલી વિવિધ સ્થાવર મિલકતોનો ઉલ્લેખ કરી, સરકારી વકીલ તરીકેની નિમણૂક પહેલાં અને ત્યારબાદ તેમની તથા સંબંધિત પરિવારજનોની સ્થાવર-જંગમ મિલકતમાં થયેલા વધારા અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
ફરિયાદમાં નામી તથા બેનામી મિલકતો અંગે પણ તપાસ કરાવવા રજૂઆત કરવામાં આવી છે. આ સાથે વિવિધ મિલકતો અને દસ્તાવેજોની નકલો જોડાણ તરીકે રજૂ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બાર એસોસિએશને સરકારની Zero Tolerance Against Corruption નીતિનો ઉલ્લેખ કરી સ્પષ્ટ માંગ કરી છે કે જો કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હોય તો તેની નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ.
ફરિયાદમાં મુખ્ય સરકારી વકીલ સહિત સંબંધિત સરકારી વકીલોની કામગીરીની તપાસ, તેમની મિલકતોની તપાસ તથા તેમના દ્વારા અત્યાર સુધી ચલાવવામાં આવેલા કેસોની પણ જરૂરી કક્ષાએ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવાયું છે કે ગાંધીનગરના આશરે 1700 જેટલા વકીલો સહિત કલોલ, માણસા અને દહેગામના વકીલોની માંગણીઓને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા ઝડપી નિર્ણય લેવામાં આવે. માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે અસહકારની લડત અથવા આંદોલન કરવાની ફરજ પડી શકે છે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
હવે સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે ગાંધીનગર કોર્ટમાં સરકારી વકીલો સામે કરવામાં આવેલા આ ગંભીર આક્ષેપો અંગે સરકાર તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરાવશે કે નહીં?
આક્ષેપો સાચા છે કે ખોટા તે તપાસનો વિષય છે, પરંતુ ન્યાય વ્યવસ્થાની વિશ્વસનીયતા સાથે જોડાયેલા આક્ષેપો હોવાથી સમગ્ર મામલાની પારદર્શક તપાસ અને હકીકત જાહેર કરવી અત્યંત જરૂરી બની છે.
ગાંધીનગર બાર એસોસિએશનની ફરિયાદ બાદ હવે સરકારના નિર્ણય અને તપાસની કાર્યવાહી પર ગાંધીનગરના કાનૂની ક્ષેત્ર સહિત સમગ્ર

