શિક્ષક દિન: શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને રિવાબા જાડેજાએ ‘શિક્ષક કલ્યાણ નિધિ’માં અર્પણ કર્યો સ્વૈચ્છિક ફાળો
આજીવન શિક્ષક અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૫મી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં ‘શિક્ષક દિન’ની ઉજવણી કરવામાં આવે છે. માનવ ઘડતર અને સમાજ નિર્માણમાં ગુરુજનોના અનન્ય યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આ ખાસ અવસરે, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ ‘શિક્ષક કલ્યાણ નિધિ’માં પોતાનો સ્વૈચ્છિક ફાળો અર્પણ કરીને શિક્ષકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો હતો.
શિક્ષક દિનની પરંપરા મુજબ શિક્ષક કલ્યાણ નિધિ માટે ફાળો એકત્રિત કરવા ગાંધીનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સવારે શિક્ષણ મંત્રીશ્રી પ્રદ્યુમન વાજા તેમજ શ્રીમતી રિવાબા જાડેજાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. શિક્ષણ મંત્રીશ્રીએ બાળકોનું ઉષ્માભેર સ્વાગત કરી, ફાળો અર્પણ કર્યા બાદ બાળકો સાથે સહજ અને પ્રોત્સાહક સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, એડિશનલ કલેક્ટર શ્રીમતી નિહારિકા સુવેરા, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી.એન. પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પિયુષ પટેલ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

