ગાંધીનગરગુજરાત

રાજ્યના APL-1 ના તમામ રેશનકાર્ડ કાર્ડધારકો વિનામૂલ્યે મળશે અનાજ : મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગર :

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારકો એટલે કે ૩ કરોડથી વધુ મધ્યમ વર્ગીય પરિવારો અને લોકોના વિશાળ હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે, પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-19 ની લોકડાઉનની સ્થિતીમાં રાજ્યમાં સૌને પૂરતું અનાજ મળી રહે તેવા ઉદાત્ત ભાવ સાથે દેશભરના રાજ્યોમાં પહેલ કરીને ગુજરાતે અનેક નિર્ણયો કર્યો છે.
તેમણે આ અંગે જાહેર કર્યુ કે, રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારો APL-1 ના કાર્ડધારકો જેઓને રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ૬૦ લાખથી વધુ APL-1 કાર્ડધારકોને મધ્યમ વર્ગના લોકો ને કુટુંબ દિઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે.
આના પરિણામે મધ્યમ વર્ગ ના પરિવારોને આ નિર્ણય ને પરિણામે મોટી રાહત થશે અને વર્તમાન લોક ડાઉન ની સ્થિતીમાં સરળતા થી અનાજ મળશે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં અંત્યોદય અને PHH એવા ૬૬ લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે ત્યાર બાદ ૩.૪૦ લાખ થી વધુ એવા કાર્ડધારકો જેઓને NFSA અંતર્ગત માત્ર ખાંડ અને મીઠું જ મળતા હતા તેવા પરિવારોને પણ ઘઉં, ચોખા અને દાળ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે.
એટલું જ નહિ, રાજ્યમાં અત્યંત ગરીબ, શ્રમજીવી, અન્ય પ્રાંત-રાજ્યના શ્રમિકો જે રેશનકાર્ડ ધરાવતા નથી તેમને પણ અન્નબ્રહ્મ યોજના અન્વયે પ્રવર્તમાન સ્થિતીમાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
હવે, મધ્યમ વર્ગ ના APL-1 કાર્ડધારકોને પણ આવું અનાજ વિનામૂલ્યે પ્રવર્તમાન પરિસ્થિતીમાં આપવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળે કર્યો છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અનાજ વિતરણની અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને આદેશ આપી દેવામાં આવ્યા છે અને વિતરણની તારીખો હવે જાહેર કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ તકે રાજ્યના નાગરિકોને અપિલ કરી કે, કોરોના વાયરસની હાલની સ્થિતીમાં આ સમયમાં સૌ સહયોગ કરી સાથે મળીને પાર ઉતરવું છે. આ મહામારી સામે વિજય મેળવવો છે.
તેમણે આ સંદર્ભમાં એમ પણ ઉમેર્યુ કે હાલની લોકડાઉનની સ્થિતીમાં કોઇ પરિવાર ભૂખ્યો ન રહે સૌને અનાજ મળી રહે તે માટે રાજ્ય સરકારે સંવેદનાથી નિર્ણય લઇને APL-1 કાર્ડ ધરાવતા ૬૦ લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણનો નિર્ણય કર્યો છે ત્યારે જે સંપન્ન વર્ગો છે તેવા APL-1 કાર્ડ ધરાવતા લોકો-પરિવારો પોતાનો અધિકાર જતો કરે અને આવા જરૂરતમંદોને અનાજ પ્રવર્તમાન સમયમાં મળી રહે તે માટે હેવ એન્ડ હેવનોટની ખાઇ પૂરવાનું સામાજીક દાયિત્વ અદા કરે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x