ગાંધીનગરગુજરાતવેપાર

રાજ્યમાં વાવાઝોડાના કારણે રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયો

ગાંધીનગર :

ગુજરાતમાં આવનારા તાઉ -તે વાવાઝોડાને પગલે ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કન્ટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. અહીં પોલીસ, NDRF સહિત દરેક વિભારના પ્રતિનિધિને હાજર રાખવામાં આવ્યાં છે. હાલમાં વાવાઝોડુ રાજ્યના દરિયાકાંઠે ટકરાવાને થોડા અંતરમાં જ છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી કંટ્રોલ રૂમ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વાવાઝોડાની પરિસ્થિતિ અને તંત્ર હાલ કામમાં હોવાથી મિનિ લોકડાઉન મંગળવાર, બુધવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસ યથાવત રહેશે. દિવસે પણ બજારો બંધ રહેશે.

કંટ્રોલરૂમમાં સેન્ટરમાંથી મુખ્યમંત્રી રાજયમાં વાવઝોડા પર નજર રાખશે. તેમની સાથે મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય સચિવ જયતી રવિ અને અધિક મુખ્ય સચિવ પંકજકુમાર કંટ્રોલરૂમમાં હાજર છે.

કન્ટ્રોલ રૂમમાં એક મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે

વાવાઝોડાને પગલે સચિવ કક્ષાના અધિકારી અને સ્ટાફ વચ્ચે પળેપળની માહિતી મેળવવા માટે આ કન્ટ્રોલ રૂમ ખૂબ જ મહત્વનો સાબિત થશે. જેના કારણે હવે આગામી સમયમાં જો તારાજી થાય તો તાત્કાલિક પરિસ્થિતિ જાણવા માટે આ કન્ટ્રોલરૂમ ઉપયોગ કરવામાં આવશે. હાલ કન્ટ્રોલ રૂમમાં એક મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. જેનાથી સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારની સેટેલાઇટ માહિતી અને વીડિયો કોન્ફરન્સ પણ કરી શકાશે.

દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો

પંકજ કુમારે જણાવ્યું કે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાના પગલે આવતીકાલ સુધી વલસાડથી દિવ સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગિરસોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં અત્યંત તેજ ગતિએ પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ભરુચ, આણંદ, બોટાદ, ખેડા, મોરબી, દક્ષિણ અમદાવાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે. આ જિલ્લાઓમાં એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારીઓ દ્વારા પણ સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકારે ખાસ એક્શન પ્લાન બનાવ્યો

અત્યાર સુધીમાં રાજ્યમાં ભારે પવનના કારણે કુલ 629 સ્થળે વીજપુરવઠો ખોરવાયાની ફરિયાદો મળી હતી. જે પૈકી 474 ફરિયાદોનો નિકાલ કરી પુરવઠો પૂર્વવત્ કરી દેવામાં આવ્યો છે. આ પ્રકારની નુકસાનીની ઘટનાઓને ત્વરિત પહોંચી વળવા અને તેનો નિકાલ લાવવા રાજ્ય સરકારે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. રેપિડ રિસ્ટોરેશન રિસ્પોન્સ ટીમ-RRRની રચના કરી આ પ્રકારની ઘટનાઓનો ત્વરિત નિકાલ કરવા સૂચનાઓ અપાઈ છે. આ ટીમમાં 661 વીજ ટુકડીઓ, માર્ગ અને મકાન વિભાગની 287 ટુકડીઓ, વનવિભાગની 276 ટુકડીઓ અને મહેસૂલ વિભાગની 367 ટુકડીઓનો સમાવેશ થાય છે. જ્યારે પશ્ચાદવર્તી અસર માટે 492 ડી-વૉટરિંગ પંપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

1.25 લાખ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

તેમણે ઉમેર્યું કે દરિયાકાંઠાના સંભવિત અસર પહોંચનારા જિલ્લાઓમાં નાગરિકો કે પશુઓની જાનહાનિ ન થાય, તે માટેની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં સંભવિત અસરગ્રસ્ત 17 જિલ્લાના 840 ગામડાંમાંથી બે લાખ નાગરિકોને અલગ-અલગ 2045 આશ્રયસ્થાનો પર સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ પ્રભાવિત પાંચ જિલ્લા-પોરબંદર, જુનાગઢ, ગિરસોમનાથ, અમરેલી અને ભાવનગર ખાતેથી 1.25 લાખ કરતાં વધારે નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતની એક પણ બોટ હાલ દરિયામાં નથી. દરિયામાંથી 19811 માછીમારો પરત આવી ગયા છે. જ્યારે 11 હજારથી વધારે અગરિયાઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x