ગુજરાત

કોંગ્રેસ દ્વારા ગુજરાતના સ્થાપનાદિનથી સમગ્ર ગુજરાતમાં તાલુકે-તાલુકે “જનમંચ” કાર્યક્રમની શરૂઆત

ગાંધીનગર :

સામાન્ય ગુજરાતી માટે “જનમંચ” કાર્યક્રમ ૧લી મે ગુજરાતના સ્થાપના દિનથી સમગ્ર ગુજરાતમાં તાલુકે – તાલુકે કોંગ્રેસ દ્વારા શરૂઆત કરવામાં આવનાર જનમંચ કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને વડગામથી કરવામાં આવી. શહેર અને તાલુકાના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતોએ પોતાની વાત અને સમસ્યાઓ અને પ્રશ્નો સહિત ફરિયાદની રજુઆત કરી.

જનતાની અવાજને બુલંદ કરવા, મંચ આપવાનું “જનમંચ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ બનવાની શરૂઆત કરવામાં આવી છે. જનમંચ કાર્યક્રમ દ્વારા આવેલી સમસ્યાઓનું સમાધાન કરવા માટે કોઈપણ પ્રકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ કટીબધ્ધ છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોકઆંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભાથી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી જગદીશ ઠાકોરે જનમંચ ને સંબોધતા જણાવ્યુ હતુ કે આજ રોજ ૧લી મે થી શરૂઆત કરીને સમગ્ર ગુજરાતમાં “જનમંચ” કાર્યક્રમ દ્વારા સતત એક વર્ષ સુધી કોંગ્રેસ તાલુકે તાલુકે જશે અને ગુજરાતના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો, ગુજરાતની સામાન્ય જનતાએ “જનમંચ”માં ભાગ લઈ રજુ કરેલા પ્રશ્નો અને તેના સમાધાન માટે કોંગ્રેસ કટીબધ્ધ રહેશે.

જનમંચમાં જનતાના પ્રશ્નો સાંભળ્યા બાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જીન સરકાર ઉત્સવો-મહોત્સવો-રાજકીય એજન્ડામાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત સરકાર અને પ્રશાસન પાસે ગુજરાતની સામાન્ય જનતાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદોને સાંભળવાનો સમય નથી ના તો ઈચ્છા છે. વગદાર લોકોની-વગદાર લોકો માટે કામ કરતી સરકારમાં સામાન્ય ગુજરાતીનું કોઈ સાંભળવાવાળું નથી. ત્યારે એક રચનાત્મક વિપક્ષ તરીકે વિધાનસભા કોંગ્રેસ પક્ષ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ આમ ગુજરાતીના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરવા, મંચ આપવા આજથી ૧મી મે ગુજરાત સ્થાપના દિવસથી સામાન્ય ગુજરાતી માટે શરૂ કરી રહ્યા છે “જનમંચ”.

કોંગ્રેસ પક્ષ સામાન્ય ગુજરાતીને મંચ પુરો પાડશે. જ્યાં સામાન્ય ગુજરાતી જે ટેક્સ ભરે છે, મત આપે છે સામે સુવિધાઓ-વિકાસ-ન્યાય મેળવવો તેનો અધિકાર છે. યુવાનો-મહીલાઓ-ખેડૂતો-કામદારો-કર્મચારીઓ નાના વેપારીઓ-વૃધ્ધો-વિકલાંગો-મજદુરો-શોષિત-પિડિત સહિત એક એક ગુજરાતી “જનમંચ” ઉપર આવી પોતાની વાત-ફરીયાદ-સમસ્યાઓ-સુચનો રજુ કરી શકશે અને તેને બુલંદ અવાજે “જનસભાથી વિધાનસભા સુધી” પહોંચાડવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. તેઓના હક્ક-અધિકાર-ન્યાય-સન્માનની લડાઈ જનસભાથી વિધાનસભા સુધી કોંગ્રેસ પક્ષ લડશે.

ગુજરાતમાં આજે યુવાનોને મોંઘુ શિક્ષણ લીધા પછી નોકરી નથી મળતી ! ફિક્સ પગાર – કોન્ટ્રાક્ટ આઉટ સોર્સીંગમાં યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. મોટા ઉદ્યોગો સ્થાનિક ૮૫ ટકા રોજગારી આપવાનો નિયમ પાળતા નથી. સરકારી ભરતીમાં વારંવાર પેપર ફુટે છે ! ડમી કાંડ અને લાંચ આપીને નોકરીઓ મળી રહી છે. મનરેગામાં ૧૦૦ દિવસનો રોજગાર અને પુરતો પગાર નથી મળતો સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ યુવાનોને આહ્વાન આપે છે.

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી પણ ખુબ જ ગંભિર છે ત્યારે દેશી-વિદેશી દારુ, જુગાર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લે આમ ચાલે છે, મહિલાઓની છેડતી અને અત્યાચારના બનાવો બન્યાં છે. માથાભારે લોકો દ્વારા જમીન-મીલકતો પચાવી પાડવામાં આવે છે, પ્રશાસન અને પોલીસ તંત્રને ફરીયાદ અને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી, ગેરકાયદેસર દબાણો અને વકરેલી ટ્રાફિકની સમસ્યાથી જનતા ત્રસ્ત છે, વ્યાજ ખોરોના ત્રાસ અને કાયદો વ્યવસ્થાના દરેક પ્રશ્નોને વાચા આપીને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ આહ્વાન આપે છે.

ગુજરાતમાં આરોગ્ય સેવાઓ ધ્વસ્ત થઈ ગઈ છે, સી.એચ.સી.-પી.એચ.સી. પેટા કેન્દ્રોમાં ડોક્ટર, સ્ટાફ, સાધનો કે દવાઓની ઘટ છે, ડોક્ટર અને સ્ટાફ નિયમીત આવતા નથી. સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં નિયમોથી વધારે ફી વસુલવામાં આવે છે. વિકલાંગતા અને અન્ય ફીટનેસ સર્ટીફીકેટ મેળવવામાં તકલીફ પડે છે. શાળામાં બાળકોના આરોગ્યની નિયમીત તપાસ કરવામાં આવતી નથી. કુપોષિત બાળકોને પુરતો પોષક આહાર-સારવાર આપવામાં નથી આવતી. આરોગ્ય સેવાઓ સસ્તી-સુલભ અને ફરજીયાત મેળવવા માટે કોઈ સુચનો કે નવા વિચાર રજુ કરવા સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ જનતાને આહ્વાન આપે છે.

ગુજરાતમાં ખેડુતોને પણ મોટા પ્રમાણમાં સમસ્યાઓ થઈ રહી છે, જમીન રીસર્વે અને માપણીમાં મોટા પ્રમાણમાં ગોટાળા થયા છે, ખાતર અને બિયારણ દવાઓ મોંઘા છે અને ઉપલબ્ધ પણ નથી. ખેડુતને ઉત્પાદનના બજાર ભાવ-ટેકાના ભાવ મળતા નથી. રોઝડા, ભુંડ, વાંદરા અને અન્ય જાનવરોથી પાકને નુકસાની થઈ રહી છે, કમોસમી વરસાદ અને માવઠાઓથી પાક નુકસાન થાય છે અને તેનુ વળતર પણ નથી મળતુ, સિંચાઈ માટે કેનાલની સુવિધા નથી અને કેનાલો વારંવાર તુટતી જાય છે સહિતના દરેક ખેતી લક્ષી પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ ખેડુતોને આહ્વાન આપે છે.

ગુજરાતમાં જનસેવા અને વિવિધ યોજનાઓનું અમલીકરણ સંપૂર્ણ રીતે થતુ નથી. મામલતદાર, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, કલેક્ટર કચેરી, નગરપાલિકામાં પ્રજા રોજીંદા કામ લઈને જાય ત્યારે પૈસાની માંગણી થાય છે અને કર્મચારી, અધિકારી ઉધધ વર્તન કરે છે. રેશનકાર્ડ, વિધવા, વૃધ્ધ, વિકલાંગ પેન્શન આવક, જાતિના દાખલા જેવા રોજીંદા કામો માટે ખુબ જ ધક્કા ખાવા પડે છે. મહેસુલના કામોમાં પૈસાની માંગણી થાય છે. ૧૦૦ ચો.વારના પ્લોટ, પાકુ મકાન અને બી.પી.એલ. નંબર માટે ખુબ જ ધક્કા ખાવા પડે છે વગેરે સમસ્યાઓને ઉજાગર કરવા સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ સામાન્ય ગુજરાતીને આહ્વાન આપે છે.

ગુજરાતમાં જનતા પોતાની સુવિધાઓ માટે નિયમીત ટેક્સ ભરે છે, છતાં પણ પાકા રસ્તાઓ નથી, હયાત રસ્તા ખખડધજ છે, ખાડાઓનું અને ભુવાઓનું સામ્રાજ્ય છે. ગટર વ્યવસ્થા અને સ્વચ્છતાનો અભાવ છે. વિજબીલ વધારે આવે છે અને પુરતી વિજળી પણ મળતી નથી જેવા મુળભુત સુવિધા મેળવવાની સમસ્યાઓ સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ પ્રજાને આહ્વાન આપે છે.

પાલનપુર અને વડગામ ખાતે “જનમંચ” કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર, પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિય, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશ પટેલ, શ્રી નાથાભાઈ પટેલ, જોઈતારામ પટેલ,બનાસકાંઠા પ્રભારી શ્રી મુકેશ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી દિનેશ ગઢવી, પ્રદેશ મહામંત્રી શ્રી ઝાકીર ચૌહાણ, બનાસકાંઠા કાર્યકારી પ્રમુખ શ્રી ડામરાજી રાજગોર, શ્રી નરસિંહભાઈ રબારી, જિલ્લા ઉપ પ્રમુખ શ્રી મુકેશ ચૌહાણ, બનાસકાંઠા મહિલા પ્રમુખ શ્રી આશાબેન રાવલ, પ્રદેશ મંત્રી શ્રી માંગીલાલ પટેલ, પાલનપુર શહેર પ્રમુખ શ્રી કનુભાઈ રાજવણી, પાલનપુર વિપક્ષ નેતા શ્રી અંકિતા ઠાકોર, સેવાદળ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી પ્રકાશ ભારતીય, પાલનપુર તાલુકા પ્રમુખ શ્રી સેનજી ડેલવાડિયા, પાલનપુર તાલુકા કાર્યકારી પ્રમુખ શ્રી વિજય ચૌધરી, પાલનપુર શહેર કાર્યકારી પ્રમુખ શ્રી ચંપકભાઈ પરમાર, શ્રી વિશાલ દવે, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યશ્રી લક્ષ્મીબેન કરેણ,પૂર્વ કારોબારી ચેરમેન શ્રી રવિરાજ ગઢવી, પૂર્વ પ્રદેશ મહામંત્રી લાખાભાઈ રબારી, મીડીયા પ્રદેશ કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x