ગાંધીનગરગુજરાત

ઝારખંડ રાજ્યના સ્થાપના દિવસની ગુજરાત રાજભવનમાં રાજ્યપાલની હાજરીમાં ભવ્ય ઉજવણી કરાઇ

ભારતના ૨૮ મા રાજ્ય તરીકે વર્ષ ૨૦૦૦ની ૧૫મી નવેમ્બરે રચાયેલા ઝારખંડ રાજ્યના સ્થાપના દિવસની ગુજરાત રાજભવનમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં પધારેલા મૂળ ઝારખંડના અને ગુજરાતમાં સ્થાયી થયેલા પરિવારો તથા સેના અને વિવિધ સુરક્ષા દળોમાં ગુજરાતમાં સેવાઓ આપી રહેલા ઝારખંડના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે, ભારતના ભિન્ન-ભિન્ન રાજ્યો વચ્ચે ઘણું વૈવિધ્ય છે પરંતુ રાષ્ટ્રભાવના અને ભાઈચારાની લાગણીથી આપણે સૌ એક છીએ. વિવિધતાઓનું સન્માન કરીને આપણે એક થઈને ભારતને શ્રેષ્ઠ બનાવીએ, વિકસિત બનાવીએ.
ઝારખંડ સ્થાપના દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આજે ભગવાન બિરસા મુંડાની પણ જન્મ જયંતી છે. અંગ્રેજોના કાળા કાયદાઓ સામે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમુદાયને એક કર્યો અને સ્વતંત્રતા સંગ્રામમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ઝારખંડના આ વીર સપૂતને આજે માત્ર ઝારખંડ નહીં સમગ્ર રાજ્ય નમન કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઉલીહાતૂથી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. તેમણે તમામ રાજ્યોને વિકસિત ભારત માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ઝારખંડ વાનસ્પતિક અને જૈવિક વિવિધતાઓનો ભંડાર છે. ઝારખંડ ખનીજ સંપદાથી સમૃદ્ધ રાજ્ય છે. ઝારખંડના ૫૦% ભૂભાગમાં કોલસો છે. વિશ્વમાં સૌથી વધુ અબરખ ઝારખંડમાં મળી આવે છે. ભારતનું સૌથી મોટું અને વિશ્વનું પાંચમા ક્રમનું વિશાળ લોખંડનું કારખાનું ટાટા સ્ટીલ જમશેદપુર-ઝારખંડમાં છે. ભારતની સૌથી મોટી શસ્ત્રોની ફેક્ટરી ગોમિયા ઝારખંડમાં છે. આવું ઝારખંડ રાજ્ય પોતાની પ્રાકૃતિક સંપત્તિથી સમગ્ર ભારતની ઔદ્યોગિક જરૂરિયાત પરિપૂર્ણ કરી રહ્યું છે. પ્રાકૃતિક સંપદાથી સમૃદ્ધ, પવિત્ર અને ખૂબસૂરત રાજ્યના સ્થાપના દિવસે તેમણે ઝારખંડના સૌ નાગરિકોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા.
ઝારખંડ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીના આરંભે ઝારખંડના રાજ્યપાલ શ્રી સી.પી. રાધાકૃષ્ણન દ્વારા પાઠવવામાં આવેલો વિડીયો શુભકામના સંદેશ પ્રસ્તુત કરાયો હતો. ઝારખંડના લોકગાયિકા સુશ્રી સુષ્મા નાગ દ્વારા પરંપરાગત પરિચ્છન વિધિથી રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીનું સ્વાગત અને અભિવાદન કરાયું હતું. ડૉ. અવિનાશ પાઠકે પણ ઝારખંડના નાગરિકો વતી રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું.
આ અવસરે ઝારખંડથી પધારેલા યુવાન કલાકારોએ ઝારખંડનું કળસા નૃત્ય અને કરમ નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. જ્યારે ગુજરાતના કલાકારોએ મિશ્ર રાસ અને ગણેશ વંદનાની રજૂઆત કરી હતી. ગુજરાત અને ઝારખંડ રાજ્યોના કલાકારોએ સાથે મળીને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત ગીત’ પર નૃત્ય કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *