ગાંધીનગરગુજરાત

ટેટ અને ટાટ પાસ ઉમેદવારોના વિરોધ છતાં સરકાર જ્ઞાન સહાયકોની ભરતી કરશે

ટેટ અને ટાટ પાસ ઉમેદવારોના વિરોધ છતાં સરકાર જ્ઞાન સહાયકોની ભરતી કરશે. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કાયમી ભરતી નહીં કરીને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરાતાં તેનો ટાટ અને ટેટની પરીક્ષા ઉતિર્ણ કરેલા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તમામ ખાલી જગ્યાઓ જ્ઞાન સહાયકોથી ભરવાની તજવીજ હાથ ધરી છે.શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે અરજીઓ મંગાવી છે. પ્રાથમિક શાળાઓ બાદ હવે ગુજરાત સરકાર દ્ધારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. જ્ઞાન સહાયક માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સરકારી અને અનુદાનિત શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જો કે આ ભરતી સામે શાળા સંચાલકોએ વિરોધ કર્યો છે. શાળા સંચાલકોએ એવી રજુઆતો કરી છે. કે, જ્ઞાન સહાયકોની ભરતી અડધુ સત્ર વિત્યા બાદ કરવામાં આવી રહી છે. અને પ્રવાસી શિક્ષકોને છુટા કરીને ભરતી કરાશે. એટલે હાલ પ્રવાસી શિક્ષકોને અડધા સત્રે છુટા કરીને જ્ઞાન સહાયકોને લેવાતા વિદ્યાર્થીઓને ભણતર પર અસર પડશે.

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે. પણ શિક્ષણ વિભાગ જ્ઞાન સહાયકોની ભરતી કરવા મક્કમ છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, થોડા સમય પહેલા સરકારે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરી હતી. હવે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી કરાશે. જેમાં આગામી 8થી 12 ડિસેમ્બર સુધી ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 42 વર્ષ નક્કી કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x