ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં વેપારી સંકુલો અને જાહેર સ્થળોએ CCTV કેમેરા લગાડવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

ગાંધીનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ જાળવવા, વિશિષ્ટ મહાનુભાવોની સુરક્ષા તથા સાર્વજનિક ક્ષેત્રે શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવાના હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત સમગ્ર જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વેપારી એકમો અને જાહેર સ્થળોએ નાઇટ વિઝન અને HD ગુણવત્તા ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા સિસ્ટમ લગાડવી ફરજિયાત બનાવવામાં આવી છે. જેમાં તમામ હોટલ, લોજ, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, પેટ્રોલ પંપ, શોપિંગ મોલ અને કોમ્પ્લેક્ષ, થિયેટર/સિનેમાગૃહ, બેંક, એ.ટી.એમ. સેન્ટર, જ્વેલર્સ શોપ, કોમર્શિયલ સેન્ટરો, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, બહુમાળી ભવનો, પાવર હાઉસ તેમજ તમામ ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩-સ્ટારથી ઉપરની હોટલોમાં સિક્યુરિટી ગાર્ડ, મેટલ ડિટેક્ટર અને સી.સી.ટી.વી. કેમેરા મુકવા ફરજિયાત રહેશે.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના હુકમ મુજબ સી.સી.ટી.વી. કેમેરામાં પ્રવેશતા વાહનોના નંબર અને વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ દેખાય તેવી ગુણવત્તા (Image Sensor 1.3″ min, Res-600 TVL Min, H.264 MJPEG) તથા નાઇટ વિઝન ક્ષમતા હોવી જરૂરી છે. આ ઉપરાંત તમામ એકમો અને સંસ્થાઓએ ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધીનું રેકોર્ડિંગ એટલે કે Data Storage ફરજિયાત જાળવી રાખવાનું રહેશે.

પાટનગર ગાંધીનગર મુકામે સચિવાલય, રાજભવન, મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનશ્રી, રાજ્યપાલશ્રી તથા અન્ય VVIP મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાતા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો, આગામી તહેવારો દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ, આંતંકવાદી સંગઠનોની ગતિવિધિઓ સામે તકેદારી તથા ખૂન, ઘરફોડ ચોરી, બેંક લૂંટ, વાહન ચોરી, ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓના ભેદ ઉકેલવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હુકમ તા. ૨૮/૦૭/૨૦૨૬થી તા. ૨૫/૦૯/૨૦૨૬ સુધી બંને દિવસો સહિત સમગ્ર ગાંધીનગર જિલ્લામાં અમલમાં રહેશે. જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *