જામનગર BAMS પેપર લીક કાંડ : દોષિતોને નહીં છોડાય, 10 વર્ષ સુધીની જેલ અને ₹1 કરોડ સુધીના દંડની જોગવાઈ – ડૉ. અનિલ પટેલ
કેપિટલ દર્પણ / જામનગર :
જામનગર સ્થિત આયુર્વેદિક યુનિવર્સિટી અંતર્ગત BAMS ત્રીજા વર્ષના શલ્ય તંત્ર વિષયનું પ્રશ્નપત્ર લીક થયાની ઘટનાએ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચિંતા ફેલાવી છે. આ સમગ્ર મામલે ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે કડક પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ઘટનાની પ્રાથમિક માહિતી સામે આવી છે અને યુનિવર્સિટીના ડાયરેક્ટરે પણ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે.
ડૉ. પટેલે જણાવ્યું કે ગુજરાત સરકારે વર્ષ 2023માં પ્રશ્નપત્ર ફોડવા જેવી ગંભીર ગેરરીતિઓને રોકવા માટે કડક કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદા હેઠળ દોષિતોને ₹10 લાખથી ₹1 કરોડ સુધીનો દંડ તેમજ 3 વર્ષથી 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તેમણે જણાવ્યું કે આ ગુનો બિનજામીનપાત્ર હોવાથી પોલીસને સીધી ધરપકડ કરવાનો પણ અધિકાર છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર તત્વોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. સમગ્ર સમાજે આવા કૃત્યો કરનારાઓને બહાર લાવવા માટે સહયોગ આપવો જોઈએ જેથી દોષિતોને કડકમાં કડક સજા મળી શકે.
ડૉ. પટેલે આ મુદ્દે રાજકારણ ન કરવાની અપીલ કરતાં જણાવ્યું કે આ વિષય માત્ર અને માત્ર વિદ્યાર્થીઓના ભવિષ્ય અને કારકિર્દી સાથે જોડાયેલો છે. તેથી દરેક પક્ષે રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરાવી દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરશે.

