રાજ્યભરમાં અનેક રેસ્ટોરન્ટ પર મોટા પાયે GST વિભાગના દરોડા
GST વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કર ચોરી અટકાવવા જીએસટી એક્શનમાં આવી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. અનેક સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં જીએસટી વિભાગ દ્વારા અનેક રેસ્ટોરન્ટમાં મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે. મળેલી જાણકારી અનુસાર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રેસ્ટોરન્ટ પર દરોડા પાડી GST વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 100થી વધુ રેસ્ટોરન્ટ પર GST વિભાગના દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
છેલ્લા બે દિવસથી ચાલી રહેલી તપાસમાં કરોડોની કરચોરી પકડી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટની 11 હોટલમાં GST ચોરી પકડાઈ હતી. 2 હોટલનું 20 લાખથી વધુ ટર્નઓવર હોવા છતા રજિસ્ટ્રેશન ન કરાવાયું હોવાનું સામે આવ્યું છે. જેના પગલે હોટલ સંચાલકોને નોટિસ ફટકારી વેરો ભરવા આદેશ કરવામાં આવ્યો છે. કાલાવડ રોડ, જામનગર રોડ, કુવાડવા, ધર્મેન્દ્ર રોડ પરની હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘણી જગ્યાએ જીએસટી ચોરી પડકાઈ હતી. ડ્રાયફ્રૂટના વેપારીઓ બાદ હવે રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરની 15 હોટલ અને રેસ્ટોરન્ટમાં કરચોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. સરગમ, મટુકી, ફ્લેવર્સ સહિત 15 હોટલમાં બે દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. જેના પગલે વેરો ભરવામાં ગોટાળા કરનારા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. સુરતની 20 જેટલી રેસ્ટોરન્ટમાં GST વિભાગની તપાસ કરવામાં આવી હતી. દિવાળીમાં રેસ્ટોરન્ટ માલિકોએ મોટા પાયે GST ચોરી કર્યાની શંકા હતી.
રોકડ વ્યવહાર કરી GST ચોરી કર્યાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઓનલાઈન ફૂડ ડિલિવરીના કિસ્સાઓમાં પણ GST ચોરીની આશંકા થતા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી.