ગાંધીનગર જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 14 પ્રશ્નો થયા રજૂ
લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સરકાર દ્વારા નિયત કરાયેલા નિયમો મુજબ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું. સ્વાગત માં રજૂ થયેલા ૧૪ પ્રશ્રોનું પૈકી તમામે તમાનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું.
આ ઉપરાંત, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રી સમક્ષ જમીન સંપાદન, પરિવહન, દબાણ, આકારણી વળતર,ગેરકાયદેસર બાંધકામ સહિતના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત તમામ અરજદારોના વણઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી હતી. તેમજ આ સાથે કલેક્ટરશ્રીએ તમામ વિભાગના અધિકારીઓને અરજદારોની રજૂઆતોને વિગતે સાંભળી નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરશ્રી ગાંધીનગરની અધ્યક્ષતામાં યોજાયેલા આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી .જે પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જમીન સંપાદન અધિકારી શ્રી અર્જુનસિંહ વણઝારા, પ્રાંત અધિકારી શ્રી પાર્થ કોટડીયા તથા ટી.ડી.ઓ શ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.