આજે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ: GMDC ગ્રાઉન્ડમાં ઐતિહાસિક આયોજન
આજે, 9 એપ્રિલના રોજ ભારત સહિત વિશ્વભરમાં નવકાર મહામંત્ર દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વિશ્વ શાંતિ અને આત્મશુદ્ધિના સંદેશ સાથે વિશ્વના 108થી વધુ દેશોના લોકો સવારે 8:01 થી 9:36 સુધી સામૂહિક રીતે નવકાર મહામંત્રનો જાપ કરશે. આ વિશેષ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના વિજ્ઞાન ભવનથી વર્ચ્યુઅલી જોડાશે અને ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કરશે.
અમદાવાદમાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) અમદાવાદ અને જૈન સમાજ દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે એક ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે આયોજિત આ કાર્યક્રમમાં 25 હજારથી વધુ જૈનો એક સાથે નવકાર મંત્રનું સામૂહિક પઠન કરશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર વિશ્વમાં ત્રણ લાખથી વધુ લોકો આ સામૂહિક જાપમાં જોડાશે, જેમાં જૈન સાધુ-સાધ્વીજીઓ અને અન્ય સંતો-મહંતો પણ સામેલ થશે. આ ઉજવણી વિશ્વ બંધુત્વ અને શાંતિનો સંદેશ ફેલાવશે.