વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોડાસાની શાળાઓમાં સિંદૂર વૃક્ષારોપણ
મોડાસા: મોડાસા કેળવણી મંડળ સંચાલિત મોડાસા હાઈસ્કૂલ અને CBSE માન્યતા પ્રાપ્ત બી. કનૈયા શાળામાં આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની અનોખી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે, “ઓપરેશન સિંદૂર” ના ગૌરવશાળી ઇતિહાસને કાયમી યાદ રાખવા અને વિદ્યાર્થીઓને તેની જાણકારી મળે તેવા ઉમદા હેતુથી ‘સિંદૂર’ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. મોડાસા કેળવણી મંડળના પ્રમુખના હસ્તે બી. કનૈયા શાળામાં વૃક્ષારોપણ કરાયું હતું. આ વેળાએ શાળાના પ્રિન્સિપાલ કુંદન સિંહ રાઠોડ, કેમ્પસ ડાયરેક્ટર જે. પી. ઉપાધ્યાય અને સ્ટાફ હાજર રહ્યો હતો. તે જ રીતે, મોડાસા હાઈસ્કૂલમાં પણ પ્રમુખના હસ્તે બીજા ‘સિંદૂર’ વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંડળના મંત્રી કિરીટ કે. શાહ, ડો. રાકેશ મહેતા અને મહેંદ્ર રહેવર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા ઉપરાંત, દેશના મહત્વપૂર્ણ ઇતિહાસને પણ જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.