RBIએ સતત ત્રીજી વાર રેપો રેટ ઘટાડ્યો: લોન EMI સસ્તા થશે
મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ આજે સતત ત્રીજી વાર રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરી છે, જે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈન્ટ (૦.૫૦%) ના ઘટાડાની જાહેરાત કરી છે, જેથી નવો રેપો રેટ ૫.૫% થયો છે.
RBIની મોનિટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક ૪ જૂનથી શરૂ થઈ હતી અને આજે શુક્રવારે તેના નિર્ણયો જાહેર કરાયા. આ ઘટાડાથી લોનના EMI સસ્તા થશે, જેનાથી ગ્રાહકોને સીધો ફાયદો થશે. અગાઉ, ફેબ્રુઆરી ૨૦૨૫માં રેપો રેટ ૬.૫% થી ૬.૨૫% કરાયો હતો, અને ત્યારબાદ એપ્રિલ ૨૦૨૫માં તે ૬.૨૫% થી ૬% થયો હતો. MPCમાં RBIના ત્રણ સભ્યો (ગવર્નર સંજય મલ્હોત્રા, ડેપ્યુટી ગવર્નર એમ. રાજેશ્વર રાવ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજીવ રંજન) અને સરકાર દ્વારા નિયુક્ત ત્રણ બાહ્ય સભ્યો (નાગેશ કુમાર, સૌગત ભટ્ટાચાર્ય, પ્રોફેસર રામ સિંહ) નો સમાવેશ થાય છે. આ કમિટી દર બે મહિને નાણાકીય નીતિ અંગે નિર્ણયો લે છે.