ગાંધીનગર

દહેગામમાં નવરાત્રિના પથ્થરમારા બાદ તંત્રનું કડક વલણ, ૫૧ ગેરકાયદે દબાણો પર ચાલ્યું બુલડોઝર

ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિના બીજા નોરતે થયેલી હિંસક ઘટના બાદ તંત્રએ કડક વલણ અપનાવીને ગુરુવારે (૯ ઓક્ટોબર) ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરની કાર્યવાહી હાથ ધરી છે. માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત અને પોલીસની સંયુક્ત ટીમે ગામમાં પ્રવેશ કરીને તોફાની તત્ત્વોના ઘર અને દુકાનો સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે ગામમાં ભય અને ચકચારનું વાતાવરણ છવાયું છે.

નવરાત્રિના બીજા નોરતાની રાત્રે બહિયલ ગામમાં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો, જેણે હિંસક રૂપ ધારણ કર્યું હતું. ગરબાના કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી અને ત્યારબાદ રોષે ભરાયેલા ટોળાએ ગામમાં ચાર દુકાનોને આગ ચાંપી દીધી હતી. હિંસા પર કાબૂ મેળવવા પહોંચેલી પોલીસ ટીમ પર પણ ટોળાએ હુમલો કર્યો હતો.

આ ઘટના બાદ પોલીસે ભારે જહેમત બાદ મામલો થાળે પાડ્યો હતો અને ૮૩ લોકો સામે નામજોગ તેમજ આશરે ૨૦૦ અજાણ્યા તત્ત્વો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અત્યાર સુધીમાં ૬૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હવે વહીવટી તંત્રએ આ મામલે કાયદાકીય કડક વલણ અપનાવ્યું છે. સોમવારે (૬ ઓક્ટોબર) ના રોજ ૫૧ દબાણ કરનારાઓને ગેરકાયદે બાંધકામો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, જેમાં બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો. સમય મર્યાદા પૂરી થતાં આજે માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા પંચાયતની ટીમોએ પોલીસ સુરક્ષા સાથે ગામમાં બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી હતી.

આ કાર્યવાહી દરમિયાન ગામના મહિલા સરપંચ અફસાનાબાનુ ચૌહાણે અગમ્ય કારણોસર વોટ્સએપ મારફતે તાલુકા વિકાસ અધિકારીને પોતાનું રાજીનામું આપી દીધું હતું, જેના કારણે બુલડોઝરની કાર્યવાહીની વચ્ચે જ રાજીનામાની ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.

હાલમાં ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સિનિયર પોલીસ અધિકારીઓનો મોટો કાફલો તૈનાત છે અને CCTV ફૂટેજના આધારે હિંસામાં સંડોવાયેલા વધુ તત્ત્વોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *