જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર ખાતે તા.૨૫ ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે
ગાંધીનગર તા.૨૨ ફેબ્રુઆરી-
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૫/૦૨/૨૦૨૬નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, “સી”વીંગ, પહેલો માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમ પાસે, સિવિલ હોસ્પિટલ સામે, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રોજગાર ભરતીમેળામાં નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ , ડિપ્લોમા, આઈ.ટી.આઈ, કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઊત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF601483400 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે.
આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે. રોજગાર કચેરીમાં નોંધણી કરાવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, એલ.સી, લાગુ પડતી જાતિ અંગેનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારીની યાદી દ્વારા જણાવાયું છે.

