ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકની રાજય માહિતી આયોગે ઝાટકણી કાઢી
ગાંધીનગર :
ગાંધીનગર ખાતે રાજ્ય માહિતી આયોગ સમક્ષ થયેલી સુનાવણીમાં જાહેર માહિતી અધિકારીની મનસ્વી, બેદરકાર અને માહિતી અધિકાર કાયદાની ભાવનાને કચડતી કામગીરીને રાજ્ય માહિતી કમિશ્નર વિપુલ રાવલે કડક શબ્દોમાં ઠપકો આપી ફરિયાદી અરજદાર હરેશ સિસારા પાસેથી ગેરકાયદેસર વસૂલ કરેલા રૂ.૫૩૦/- નકલ ફી પરત કરવા આદેશ કર્યો છે. એટલું જ નહીં, અરજદારે માંગેલી માહિતી અંગે દિન-૧૦માં સ્પષ્ટ જવાબ આપવા ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક અને જાહેર માહિતી અધિકારી પારૂલ મણિયારને આદેશ કર્યો છે.
આ કેસમાં ફરી એક વખત સાબિત થયું છે કે, કેટલાક જાહેર માહિતી અધિકારીઓ માહિતી અધિકાર કાયદાને પારદર્શકતાનું સાધન નહીં પરંતુ નાગરિકોને હેરાન કરવાની પદ્ધતિ તરીકે ઉપયોગમાં લઈ રહ્યા છે. ફરિયાદી હરેશ સિસારાએ રાજય માહિતી આયોગ સમક્ષ સ્પષ્ટ રીતે રજૂઆત કરી હતી કે, તેમણે પોતાની અરજીમાં જે માહિતી માંગી જ ન હતી, તે માહિતીના નામે જાહેર માહિતી અધિકારીએ રૂ.૫૩૦/- વસૂલીને ખોટી, અધુરી અને ગેરમાર્ગે દોરનારી માહિતી દસ્તાવેજોની નકલ આપી હતી. જેથી અરજદારે જાહેર માહિતી અધિકારી વિરૂદ્ધ માહિતી અધિકાર અધિનિયમની કલમ ૨૦ (૧) હેઠળ દંડ કરવા તેમજ કલમ ૨૦ (૨) હેઠળ તેઓના વિરૂદ્ધ શિસ્ત વિષયક પગલાં લેવાની ભલામણ કરવા આયોગને વિનંતી કરી હતી.
સુનાવણી દરમિયાન જાહેર માહિતી અધિકારીએ પોતાની ગંભીર ભૂલ સ્વીકારવાને બદલે બચાવનું વલણ અપનાવીને અખબાર નોંધણી રજીસ્ટરના પાના આપીને “અભિપ્રાય” આપ્યો હોવાનો દાવો કર્યો હતો. આયોગે તેમની આવી ખોટી દલીલોને કડક શબ્દોમાં નકારતા સ્પષ્ટ કર્યું કે, “અભિપ્રાય” અને “અખબાર નોંધણી રજીસ્ટરની નકલ” વચ્ચેનો તફાવત ન સમજવો એ જાહેર માહિતી અધિકારીની ગંભીર અયોગ્યતા અને કાયદાની અજ્ઞાનતાનું પ્રતિબિંબ છે. રાજ્ય માહિતી કમિશ્નર વિપુલ રાવલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો અરજદાર અભિપ્રાયની માહિતી માંગે તો જાહેર માહિતી અધિકારીની ફરજ છે કે તેમણે સ્પષ્ટ રીતે આવો અભિપ્રાય રેકર્ડ પર ઉપલબ્ધ નથી તેવો જવાબ આપવો જોઇએ. માહિતીના કાયદાનુસાર બિનજરૂરી દસ્તાવેજોની નકલ આપી નાગરિક પાસેથી ફી વસૂલવી એ સીધી રીતે માહિતી અધિકાર કાયદાનો દુરૂપયોગ છે.
આયોગે જાહેર માહિતી અધિકારીને દિન-૩૦માં રૂ. ૫૩૦/- પરત કરવાનો આદેશ આપતાંની સાથે જ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે, હવે પછીથી કોઈ પણ અરજદાર પાસેથી માંગેલી માહિતીની યોગ્ય ચકાસણી કર્યા વિના નકલ ફી વસૂલાશે તો કડક કાર્યવાહી અનિવાર્ય બનશે. અરજદારે માંગેલી માહિતી અંગે દિન-૧૦માં સ્પષ્ટ જવાબ આપવા અને જો વર્ષ ૨૦૨૫ની નિયમિતતા અંગેનો કોઈ અભિપ્રાય ઉપલબ્ધ હોય તો તે માહિતી વિનામૂલ્યે ફરિયાદીને પૂરી પાડવાનો પણ આયોગે આદેશ કર્યો છે. જાહેર માહિતી અધિકારી દ્વારા દલીલ કરવામાં આવેલી કે અપીલ અધિકારીના હુકમમાં તમામ વિગતો લખેલી છે, તેનો આયોગે સ્પષ્ટપણે અસ્વીકાર કરી જણાવ્યું કે, જવાબદારી ટાળવી અને ઉપરી અધિકારીના નામે ભૂલ છૂપાવવી એ પ્રશાસનિક અહંકારનું ઉદાહરણ છે. યોગ્ય અને કાયદેસર નિર્ણય લેવાની સંપૂર્ણ જવાબદારી જાહેર માહિતી અધિકારીની જ હોય છે.
આયોગે દંડ ન લગાવવાનું કારણ જણાવતાં જણાવ્યું કે, હાલના તબક્કે જાણીજોઇને માહિતી અટકાવવાનો બદઇરાદો માની શકાય તેમ નથી. આ સાથે આયોગે તાકિદ કરી કે, જાહેર માહિતી અધિકારીએ માહિતી આપવામાં કાળજી લેવી અને અરજદારે માંગેલી માહિતીની ચકાસણી કર્યા બાદ જ નકલ ફી વસૂલવી. આમ, આયોગે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ભવિષ્યમાં આવી બેદરકારી, અયોગ્યતા અને મનમાનીને સહન કરવામાં આવશે નહીં. આ હુકમથી સ્પષ્ટ થાય છે કે, માહિતી અધિકાર કાયદો કોઈ વિભાગની દયા પર ચાલતો નથી, પરંતુ નાગરિકનો મૂળભૂત અધિકાર છે. જાહેર માહિતી અધિકારીઓ જો આ કાયદાને હલ્કે લેવાનું ચાલુ રાખશે તો રાજ્ય માહિતી આયોગ દ્વારા આવી રીતે જાહેરમાં ફટકાર લગાવશે અને કાર્યવાહીનો સામનો કરવો પડશે.

