ગુજરાતમાં થશે જ્ઞાન, ભક્તિ અને ધ્યાનનો મહાસંગમ : વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ગુજરાતના ત્રણ શહેરોના પ્રવાસે
વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ૨૫ ફેબ્રુઆરીએ ગુજરાતની પાંચ દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. વાસદ, સુરત અને અમદાવાદ ખાતે તેમના આગમનની આતુરતાથી લાખો ભક્તો રાહ જોઈ રહ્યા છે. ગુરુદેવના પવિત્ર સાન્નિધ્યમાં આ ત્રણેય શહેરોમાં આનંદ, જ્ઞાન અને ભક્તિના અદ્વિતીય તરંગો અનુભવાશે. તેમની આ મુલાકાત દરમ્યાન ખાસ જ્ઞાન સત્રો, જાહેર સત્સંગ, દર્શન અને વિશેષ સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૫ ફેબ્રુઆરીએ ગુરુદેવ વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગના ગુજરાત આશ્રમ ખાતે પધારશે. ૨૬ અને ૨૭ ફેબ્રુઆરી દરમિયાન વાસદ આશ્રમમાં ગુરુદેવના સાન્નિધ્યમાં સત્સંગ, ધ્યાન અને વિશેષ જ્ઞાન સત્રો યોજાશે, જેમાં રાજ્યભરના હજારો સાધકો ઉપસ્થિત રહી જ્ઞાન, શાંતિ અને ભક્તિનો અનુભવ કરશે. ૨૮ ફેબ્રુઆરીએ સુરત અને ૧ માર્ચે અમદાવાદ ખાતે ‘Soaking in Bliss’ શીર્ષક હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ઊંડું આધ્યાત્મિક જ્ઞાન, સંગીત, ધ્યાન અને ગુરુદેવ સાથે લાઇવ સંવાદનો સમાવેશ રહેશે.
અત્યાર સુધીમાં ગુરુદેવની વિશિષ્ટ તણાવમુક્તિ તકનીકોએ વિશ્વના ૧૮૦થી વધુ દેશોમાં ૮૦ કરોડથી વધુ લોકોના જીવનમાં આંતરિક શાંતિ, આરોગ્ય અને સુમેળ પ્રસરાવ્યો છે. આર્ટ ઓફ લિવિંગના સેવા પ્રકલ્પો આંતરિક શાંતિને વ્યવહારુ સેવા સાથે સુમેળમાં જોડે છે. સંસ્થાના સ્વયંસેવકો હજારો નિઃશુલ્ક શાળાઓ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો દ્વારા વંચિત બાળકો અને યુવાનોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પૂરૂં પાડે છે. આપત્તિના સમયમાં વિશાળ રાહત કામગીરી, આરોગ્ય શિબિરો અને ગ્રામ વિકાસ માટેની પહેલો નબળા વિસ્તારોને સશક્ત બનાવે છે. આ ઉપરાંત આર્ટ ઓફ લિવિંગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત નદી પુનર્જીવન, વૃક્ષારોપણ અને સંવર્ધન, પ્રાકૃતિક ખેતી તથા પાણી સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. ગુરુદેવના દ્રષ્ટિકોણ મુજબ જેલ સુધારણા, મહિલા સશક્તિકરણ અને વૈશ્વિક શાંતિ સ્થાપનાના પ્રયાસો સંસ્થાની સેવા પ્રવૃત્તિઓના કેન્દ્રસ્થાને છે જેનો મુખ્ય ધ્યેય સુમેળભર્યું, તણાવમુક્ત અને હિંસામુક્ત વિશ્વ રચવાનો છે.

