ગુજરાત

નીલવર્ણી કલાનો સંગમ: રાકેશ ગુજજરની બ્લુ પોટરી કલાનું ગાંધીનગરના વસંતોત્સવમાં શાહી પ્રદર્શન

ગાંધીનગરના આંગણે વસંતોત્સવના રંગો સાથે નીલવર્ણી કલાએ લોકોમાં અદભૂત આકર્ષણ જગાવ્યું છે. એક તરફ વસંતના રંગે રંગાયેલા લોકમન જ્યારે બ્લુ પોટરીની સુંદરતા સાથે ભળે, ત્યારે સર્જાય છે એક અદભૂત નઝારો! જયપુરની વિશ્વપ્રસિદ્ધ ‘બ્લુ પોટરી’ના જાણીતા કલાકાર રાકેશ ગુજ્જર વસંતોત્સવમાં હસ્તકલાનો એક અણમોલ ખજાનો લઈને આવ્યા છે. માટી અને કુદરતી રંગોના મિશ્રણથી બનેલી આ કલામાં પરંપરા અને આધુનિકતાનો સુમેળ એક નજરે મોહીને રાકેશભાઈના સ્ટોલ સુધી ખેંચી લાવે છે. રાકેશભાઈ જયપુરના એવા કલાકાર છે જેમના હાથોમાં માટી જીવંત થઈ ઉઠે છે. તેઓ જે કલા લાવ્યા છે તે છે—બ્લુ પોટરી. કાચ, માર્બલ પાવડર, મુલતાની માટી અને ગુંદરના મિશ્રણમાંથી બનેલા ફૂલદાની, કપ-રકાબી અને શો-પીસ પર જ્યારે વાદળી અને સફેદ રંગની ભાત ઉપસી આવતી, ત્યારે જોનારાની આંખો ત્યાં જ થંભી જતી હતી.
“આ કળામાં માત્ર મહેનત નથી, પણ જયપુરનો આત્મા વસેલો છે,” તેમ સમજાવતા રાકેશભાઈએ બ્લુ પોટરી કલા વિશે જણાવ્યું હતું કે, આ કળા પર્શિયા (ઈરાન) થી ભારત આવી હતી, તેને સાચું ઘર રાજસ્થાનમાં મળ્યું. ૧૯મી સદીમાં જયપુરના મહારાજા રામસિંહ બીજાએ આ કળાને આશ્રય આપ્યો અને આજે તે જયપુરની ઓળખ બની ગઈ છે.” રાકેશભાઈએ કુતૂહલવશ પૂછતા મુલાકાતીઓને તેની જટિલ પ્રક્રિયા સમજાવી હતી. સૌ પ્રથમ માર્બલ પાવડર, મુલતાની માટી, ગુંદર અને સાજીખારનું ચોક્કસ માપ લઈ એક લોટ જેવું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણને હાથથી વણીને અલગ-અલગ બીબામાં ઢાળવામાં આવે છે અને પછી તેને સૂકવવામાં આવે છે. સૂકાઈ ગયા પછી રેગમાલથી તેને ઘસીને એકદમ લીસું કરવામાં આવે છે. હવે આ સૌથી મહત્વના તબક્કામાં વસ્તુ પર ચિત્રકામ કરવામાં આવે છે. રાકેશભાઈ ‘ખિસકોલીના વાળ’ માંથી બનેલી બ્રશ વડે ખૂબ જ ઝીણવટભર્યું ચિત્રકામ કરે છે. જેમાં કોબાલ્ટ ઓક્સાઈડથી વાદળી રંગ અને કોપર ઓક્સાઈડથી લીલો રંગ પૂરવામાં આવે છે. છેલ્લે તેના પર કાચના પાવડરનું પડ ચડાવવામાં આવે છે અને તેને ભઠ્ઠીમાં લગભગ ૮૦૦ થી ૮૫૦ સે. તાપમાને પકવવામાં આવે છે.
આ પ્રક્રિયામાં એક નાની ભૂલ પણ આખી મહેનત પર પાણી ફેરવી શકે છે, પણ રાકેશભાઈ જેવા કુશળ કારીગરો માટે આ વર્ષોની તપસ્યા છે.જ્યારે ગાંધીનગરના વસંતોત્સવમાં લોકોએ જોયું કે એક કપ બનાવતા પાછળ કેટલી મહેનત અને કેટલો ઇતિહાસ છુપાયેલો છે, ત્યારે તેઓ દંગ રહી ગયા હતા.
વસંતોત્સવમાં આવતા મુલાકાતીઓ જ્યારે રાકેશભાઈના સ્ટોલ પર અટકતા, ત્યારે તેમની નજર કેટલીક ખાસ ચીજવસ્તુઓ પર સ્થિર થઈ જતી. બ્લુ પોટરીની ઝીણી કોતરણીવાળી રાજવી સૂરજમુખી ફૂલદાની, જયપુરી શૈલીના પક્ષીઓ અને વેલબુટ્ટાની ભાત કંડારેલી પરંપરાગત ટાઈલ્સ, આલિશાન ટી-સેટએ વસંતોત્સવની રોનક વધારી દીધી હતી. તો, કી-ચેન, અત્તરની શીશીઓ અને નાના દીવાઓ, જે બ્લુ પોટરીની સુંદરતાને દરેકના ખિસ્સા સુધી પહોંચાડતા હતા.
રાકેશભાઈ ગ્રાહકોને પોતાની આ ખાસ પ્રોડક્ટ્સ વિશે ગર્વથી કહેતા હતા, “આ માત્ર માટી નથી, આ તો પથ્થર અને કુદરતી રંગોનો સંગમ છે. આ ક્યારેય જૂની નહીં થાય અને તેનો રંગ કદી ઝાંખો નહીં પડે.” સામાન્ય રીતે કોઈ મોટા પ્રદર્શનમાં ભાગ લેવો એ નાના કારીગરો માટે ખર્ચાળ હોય છે, પરંતુ અહીં સ્થિતિ અલગ હતી. રાકેશભાઈએ ખૂબ જ ગર્વ અને સંતોષ સાથે જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા આ પ્રદર્શનમાં તેમને સ્ટોલ માટે કોઈ પણ પ્રકારનું ભાડું લેવામાં આવ્યું નહોતું. સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કારીગરોને રહેવા-જમવાની સુવિધા સાથે સીધું વેચાણ કરવાનું પ્લેટફોર્મ આપી સ્વદેશી કલાને પ્રોત્સાહન આપવા માટે તેમણે ગુજરાત સરકારનો ‌આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારના ઝીરો સ્ટોર ચાર્જના નિર્ણયને કારણે રાકેશભાઈ પોતાની આ કળાનું સાચું મૂલ્ય ગ્રાહકો સુધી પહોંચાડી શક્યા છે. તેમણે આભાર માનતા કહ્યું કે “હું જયપુરથી અહીં એક આશા લઈને આવ્યો હતો, અને ગુજરાતની જનતાએ મને જે પ્રેમ આપ્યો છે તે અવિસ્મરણીય છે. ખાસ કરીને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે તેમણે અમારા જેવા હસ્તકલાના કલાકારોને કોઈ પણ આર્થિક બોજ વગર પોતાની સંપૂર્ણ સ્વદેશી બનાવટોને પ્રદર્શિત કરવાની આટલી મોટી તક આપી. આનાથી અમારી આ કળાને વધુ પ્રોત્સાહન મળ્યું છે.”
વસંતોત્સવમાં પ્રદર્શનમાં રાકેશભાઈનો સામાન હાલ સુધીમાં લગભગ સ્ટોલ પરનો પ્રદર્શિત તમામ સામાન વેચાઈ ગયો છે. વધુ સામાન તૈયાર કરી ગોઠવતા દરમિયાન તેમના ચહેરા પર એક અનોખી ચમક હતી. રાકેશ ગુજજરના મનમાં ગુજરાતની મહેમાનગતિ અને સરકારનો સહયોગ હંમેશ માટે અંકિત થઈ ગયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *