ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કુલ ૬ ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા. ૨૩ મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે ૧૧૧- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા તારીખ ૩૦ માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
સદર વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કાર્યક્રમ અનુસાર તા.૦૯.૦૪.૨૦૨૬ ના રોજ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો. જે અંતર્ગત ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે એટલે કે, આજ તા.૦૯.૦૪.૨૦૨૬ના રોજ સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી દ્વારા નીચે મુજબના ઉમેદવારો હરીફ ઉમેદવારો તરીકે નિયત કરવામાં આવ્યા છે તથા તેમને ચૂંટણી ચિહ્ન પણ ફાળવવામાં આવ્યું છે.
૧. શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૨. હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર
ભારતીય જનતા પાર્ટી
૩.શ્રી મૌલિકભાઈ વિનુભાઈ શાહ
ભારતીય નેશનલ જનતા દળ
૪. શ્રી જીતેશકુમાર સેવક
અપક્ષ
૫. શ્રી નિરૂપાબેન માધુ
અપક્ષ
૬. શ્રી મહેન્દ્રભાઈ પરમાર
અપક્ષ
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્ક પર જઈને જોઈ શકાશે.

