ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે ચાલુ વર્ષે બાગાયત ખાતાની નવીન ત્રણ યોજનાઓ અમલી કરાઇ

ગાંધીનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ચાલુ વર્ષે બાગાયત ખાતાની ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ, બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ તેમજ રાઈઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ સહિતની ત્રણ નવી યોજનાઓ અમલમાં આવી છે, જે બાગાયતી ખેડૂતો માટે સહાય મેળવવાની સુવર્ણ તક છે. આ નવીન યોજનાઓ પૈકી પ્રથમ ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ અંતર્ગત ફળપાકના વાવેતર ઉપર સ્ટ્રકચર બનાવી પાકને સિન્થેટિક કાપડ દ્વારા ઢાંકી ખેતી કરવામાં આવે તો ઓછામાં ઓછા ૦.૨૦ હેક્ટરથી મહત્તમ ૧.૦ હેક્ટરની મર્યાદામાં ₹૫,૦૦,૦૦૦/- પ્રતિ હેક્ટરના એકમ ખર્ચના ૪૦% અથવા મહત્તમ ₹૨,૦૦,૦૦૦/- પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે. દ્વીતીય બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ અંતર્ગત પાકવાર નિયત થયેલ પ્રતિ રોપા/કલમ સહાય અથવા પ્રતિ કલમ/ટીસ્યુ રોપા દીઠ ખરેખર થયેલ ખર્ચ, બેમાંથી જે ઓછું હોય તે ધ્યાને લઈ વાવેતર કરેલ રોપા/કલમો મુજબ સહાય મળવાપાત્ર રહેશે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતને ઓછામાં ઓછા ૦.૨૦ હેક્ટરથી મહત્તમ ૪.૦ હેક્ટર સુધી અને અનુસૂચિત જાતિના ખેડૂતને ઓછામાં ઓછા ૦.૧૦ હેક્ટરથી મહત્તમ ૪.૦ હેક્ટર સુધી સહાય મળશે.

તૃતીય રાઈઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ અંતર્ગત નિયત થયેલ પ્લાન્ટીંગ મટીરીયલ્સ (બિયારણ), ઇનપુટ ખર્ચ અને મજૂરી/અન્ય ખર્ચ માટે સામાન્ય જાતિના મોટા ખેડૂતને ખર્ચના ૫૦% અથવા મહત્તમ ₹૫૦,૦૦૦/- પ્રતિ હેક્ટર, નાના/સિમાંત ખેડૂતને ખર્ચના ૬૫% અથવા મહત્તમ ₹૬૫,૦૦૦/- પ્રતિ હેક્ટર તેમજ અનુસૂચિત જાતિના ખેડૂતને ખર્ચના ૭૫% અથવા મહત્તમ ₹૭૫,૦૦૦/- પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે, આ યોજનામાં સામાન્ય જાતિના ખેડૂત ઓછામાં ઓછા ૦.૨૦ હેક્ટરથી મહત્તમ ૨.૦ હેક્ટર સુધી અને અનુસૂચિત જાતિના ખેડૂત ઓછામાં ઓછા ૦.૧૦ હેક્ટરથી મહત્તમ ૨.૦ હેક્ટર સુધી સહાય મેળવી શકશે.

આ ઉપરોક્ત ત્રણ નવી યોજનાઓમાં સહાયનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ આઈ-ખેડુત પોર્ટલ ૨.૦ (Ikhedut Portal 2.0) ની વેબસાઈટ www.ikhedut.gujarat.gov.in પર તા. ૨૦/૦૫/૨0૨૬ થી તા. ૧૯/૦૬/૨0૨૬ સમય દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ નવીન આઈ-ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ અરજી કરવાની રહેશે તેમજ અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી તમામ કાગળો અપલોડ કરી, અરજી કન્ફર્મ કરી તેની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે ખેડૂતોએ “નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સહયોગ સંકુલ, પાંચમો માળ, સી-બ્લોક, પથિકાશ્રમની બાજુમાં, સેકટર ૧૧, ગાંધીનગર – ૩૮૨૦૧૮ (ફોન નંબર: ૦૭૯-૨૩૨-૫૭૭૬૦)” નો સંપર્ક કરવાનો રહેશે. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ સહાયનો લાભ મેળવવા માંગતા ગાંધીનગર જિલ્લાના તમામ અરજદારોને સમયમર્યાદામાં નવીન આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા નાયબ બાગાયત નિયામક દ્વારા વિનંતી સહ અનુરોધ કરવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *