કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયો માટે પ્રવેશ બંધ ? ‘ચીનને લાલ આંખ’ના દાવા કરતી કેન્દ્ર સરકાર ચૂપ
હિન્દુ ધર્મના અતિ પવિત્ર અને આસ્થાના કેન્દ્ર ગણાતા કૈલાશ માનસરોવર યાત્રા મુદ્દે નવો વિવાદ સામે આવ્યો છે. યાત્રા માટે અરજી કરનારા અનેક ભારતીય શ્રદ્ધાળુઓને હજુ સુધી પરમિટ ન મળતાં ભારે અસંતોષ અને રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ 3 હજારથી વધુ ભારતીય યાત્રાળુઓની પરમિટ અરજી પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે અનેક શ્રદ્ધાળુઓ યાત્રા કર્યા વિના જ પરત ફરવાની ફરજ પડી છે.
શ્રદ્ધાળુઓ અને ટૂર ઓપરેટરોનો આક્ષેપ છે કે હાલમાં એનઆરઆઈ (NRI) અરજદારોને પરમિટ મળવાની પ્રક્રિયા આગળ વધી રહી છે, જ્યારે ભારતીય નાગરિકોની અરજીઓ લાંબા સમયથી અટવાયેલી છે. આ સ્થિતિને કારણે યાત્રા માટે મોટી રકમ ખર્ચી ચૂકેલા અને મહિનાઓથી તૈયારી કરી રહેલા શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી છે.
ગુજરાતના અનેક ટૂર ઓપરેટરોએ આ મામલે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય સમક્ષ લેખિત રજૂઆત કરીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટતા કે સત્તાવાર નિવેદન બહાર ન આવતા યાત્રાળુઓમાં વધુ અસંતોષ ફેલાયો છે.
શ્રદ્ધાળુઓનું કહેવું છે કે જે સરકાર આંતરરાષ્ટ્રીય મંચો પર ચીન સામે કડક વલણ અપનાવવાની વાત કરે છે, તે જ સરકાર કૈલાશ માનસરોવર યાત્રા જેવા આસ્થાના મુદ્દે મૌન કેમ છે? ભારતીય યાત્રાળુઓને પરમિટ ન મળવાના કારણો શું છે અને તેનો ઉકેલ ક્યારે આવશે તે અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટ જવાબ આપવો જોઈએ.
કૈલાશ માનસરોવર માત્ર પ્રવાસ નહીં પરંતુ કરોડો હિન્દુઓની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે. તેથી આ મુદ્દે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ભારતીય શ્રદ્ધાળુઓની મુશ્કેલીઓ દૂર કરે તેવી માંગ ઉઠી રહી છે.

