ગાંધીનગર જિલ્લા વિસ્તારમાં જાહેર શાંતિ જાળવવા હેતુ તા.૬ ઓગસ્ટ સુધી પ્રતિબંધાત્મક હુકમો જાહેર*
ગાંધીનગર તા.૨૩ જુલાઈ –
ગાંધીનગર ગુજરાતનું પાટનગર હોય, જ્યાં સચિવાલય, વિધાનસભા, રાજભવન, મંત્રીશ્રીઓ તથા અધિકારીશ્રીઓની કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. ગાંધીનગર ખાતે અનેક જાહેર કાર્યક્રમો યોજાતા હોય છે. આ સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર શાંતિ જાળવી રાખવાના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિપુલ ઠક્કર દ્વારા પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરવામાં આવ્યા છે.
આ જાહેરનામા અનુસાર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર તથા સમગ્ર ગાંધીનગર જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં તા. ૦૬/૦૮/૨૦૨૬ સુધી હથિયાર, તલવાર, ધોકા, બંદૂક, છરા, સળગતી મશાલ કે અન્ય શારીરિક ઈજા પહોંચાડી શકે તેવાં સાધનો સાથે રાખીને ફરવા, કોઈપણ ક્ષયકારી કે સ્ફોટક પદાર્થો સાથે રાખીને ફરવા, પથ્થરો કે ફેંકી શકાય તેવી વસ્તુઓ અને તેના ફેંકવાના યંત્રો તૈયાર કરવા કે સાથે રાખવા, મનુષ્યોની આકૃતિઓ કે પૂતળાં દેખાડવાં/બાળવાં, અપમાનિત કરવાના ઈરાદાથી બીભત્સ સૂત્રો પોકારવા, અશ્લીલ ગીતો ગાવાં કે ટોળાંમાં ફરવા, રાજ્યની સલામતી જોખમાય, નીતિ-સુરૂચિનો ભંગ થાય કે રાજ્ય ઉથલાવી પાડવાના ઈરાદાવાળાં છટાદાર ભાષણો આપવાં, ચાળા પાડવા કે તેવા ચિત્રો/પ્રતીકો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
આ અનુસાર ધાર્મિક વિધિઓ અને મરણોત્તર ક્રિયાઓ,ફરજ પરના સરકારી કર્મચારીઓ જેમને હથિયાર ધારણ કરવાનો અધિકાર છે, શારીરિક અશક્તતાના કારણે સક્ષમ મેજિસ્ટ્રેટશ્રીની પરવાનગીથી લાકડી/સોટી રાખનાર વ્યક્તિઓ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને સરકારી કામકાજ માટે પ્રવાસ કરતા વાહનો તથા સક્ષમ અધિકારીશ્રી પાસેથી ખાસ કિસ્સા તરીકે પરવાનગી મેળવેલ હોય તેવા પ્રસંગો/વ્યક્તિઓને પ્રતિબંધોથી મુક્તિ રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

