સરગાસણમાં બાંધકામ સાઇટો બની મચ્છરજન્ય રોગોનું ‘હોટસ્પોટ’ !
મહાપાલિકાની બેદરકારીથી ડેન્ગ્યુ-મેલેરિયાનો ખતરો મંડરાયો, તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો સ્થિતિ બની શકે ગંભીર
ગાંધીનગર: સરગાસણ વિસ્તારમાં ચાલી રહેલી ટીપી-૯ અને ટીપી-૨૯ સહિતની અનેક બાંધકામ સાઇટો પર વરસાદી પાણી લાંબા સમયથી ભરાયેલા રહેતાં મચ્છરોના ઉપદ્રવમાં ચિંતાજનક વધારો થયો હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે દરમિયાન પણ અનેક સ્થળોએ આવી સ્થિતિ જોવા મળી હોવાનું જાણવા મળ્યું છે. પાણી ભરાયેલા ખાડા અને ખુલ્લી બાંધકામ સાઇટો મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ કેન્દ્ર બની ગઈ હોવાથી સ્થાનિકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાના ફેલાવાની ભીતિ વધી રહી છે.
દર વર્ષે ચોમાસા દરમિયાન બાંધકામ સાઇટો પર વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા સમયસર પાણીના નિકાલ અને સ્વચ્છતાની અસરકારક વ્યવસ્થા કરવામાં આવતી નથી. પરિણામે રહેણાંક વિસ્તારોની આસપાસ મચ્છરોની સંખ્યા સતત વધી રહી છે અને સ્થાનિક નાગરિકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. સરગાસણ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કરોડો રૂપિયાના બાંધકામ પ્રોજેક્ટો ચાલી રહ્યા હોવા છતાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને સ્વચ્છતા જાળવવા માટે જરૂરી તકેદારી લેવામાં આવતી નથી. જો સમયસર મચ્છર નિયંત્રણ, પાણીના નિકાલ અને આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તેથી સ્થાનિકોએ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગને તાત્કાલિક અસરથી તમામ બાંધકામ સાઇટોનું નિરીક્ષણ કરી ભરાયેલા પાણીનો નિકાલ કરાવવા, મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવા અને બેદરકારી દાખવનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

