કોરોનાનો હાહાકાર : મહારાષ્ટ્રના વધુ એક મોટા શહેરમાં લદાયુ આંશિક લોકડાઉન.
કોરોનાના વધતા જતા કેસોને કારણે નાસિકમાં વીકએન્ડમાં લોકડાઉન રહેશે અને મંગળવારથી અન્ય ઘણા પ્રતિબંધો લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી વહીવટીતંત્રએ નિર્ણય લીધો કે 15 માર્ચથી જિલ્લામાં લગ્નના કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવશે નહીં. જેમને પહેલાંથી જ 15 માર્ચ સુધી પરવાનગી મળી ચૂકી છે, માત્ર તેમને મંજૂરી આપવામાં આવશે. જ્યારે થાણે શહેરના 11 હોટસ્પોટ પર 11 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
આવશ્યક ચીજવસ્તુઓની સેવા સિવાય તમામ દુકાનો સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી ખોલી શકાશે.
રેસ્ટોરાં રાત્રે 9 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. રાત્રે 11 વાગ્યા સુધી હોમ ડિલિવરીની મંજૂરી છે.
નાસિક સિટી, માલેગાંવ અને જ્યાં સંક્રમણ દર વધારે છે ત્યાં શાળા-કોલેજો અને કોચિંગ ક્લાસીસ બંધ રહેશે.
પહેલેથી નક્કી થઈ ચૂકેલી PSC અને MPSCની પરીક્ષા પોતાના સમયપત્રક પર જ યોજાશે.
નાસિકમાં છેલ્લા 8 દિવસમાં 3,725 નવા કોરોના કેસ નોંધાયા છે. સોમવારે અહીં કોરોનાના 644 કેસ નોંધાયા હતા. અત્યારસુધીમાં કુલ 1 લાખ 31 હજાર 990 લોકોને કોરોના સંક્રમણ લાગી ચૂક્યું છે. થાણેમાં દર અઠવાડિયે સરેરાશ 700થી 800 કેસ સામે આવી રહ્યા છે. કોરોનાથી અત્યારસુધી 2 લાખ 86 હજાર 351 લોકોને સંક્રમણ લાગ્યું છે.