ગુજરાત

અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્યમંત્રી પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશક્તિ માં અંબાના દર્શન કરી અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાજંલિ અર્પણ કરી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યના 14,620 ગામોમાં 129 રથો બે મહિના સુધી પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે જેનો લાભ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસતા વન બંધુઓને મળશે.આ સાથે દેશના વડાપ્રધાન મોદીએ ઝારખંડ રાજ્યમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુલામીની માનસિકતાને ત્યજી વર્ષ-2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે, આદિવાસીઓના ભૂલાયેલા ઇતિહાસને ઉજાગર કરવા તથા આદિજાતિઓના ગૌરવ અને સ્વાભિમાનને પુન: સ્થાપિત કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળથી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. જો માનવ શરીરનું પ્રત્યેક અંગ સારુ હોય તો જ માણસ સારી રીતે જીવન જીવી શકે એવી જ રીતે સમાજના તમામ લોકો શિક્ષિત હોય, સમૃદ્ધ હોય તો જ રાષ્ટ્રનો વિકાસ થઇ શકે એમ જણાવી તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાન મોદી ગરીબો, શોષિતો, પીડિતો, દલિતો સહિત સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટે કામ કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત સૌને દિવાળીના પ્રકાશ પર્વ અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી નવા વર્ષનો પહેલો જાહેર કાર્યક્રમ મા અંબાજીના ધામ અને આદિજાતિ વિસ્તાર દાંતા, બનાસકાંઠાથી કરી રહ્યાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન મોદીએ અંબાજીથી ઉમરગામ, વલસાડથી ઝારખંડ અને છેક નોર્થ-ઇસ્ટ સુધીના તમામ આદિવાસી સમુદાયના કલ્યાણ તેમજ જનજાતિય વિસ્તારના વિકાસ માટે દેશને આગવી દિશા આપી છે. ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવીને આદિવાસીઓના સર્વાંગી વિકાસનો પાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાંખ્યો છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિવાસી બાંધવોની રહેણીકહેણી, પ્રથાઓ અને પ્રકૃતિ સાથેના અનુકૂલનને અતૂટ રાખીને તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પરિપાટી વડાપ્રધાન મોદીએ આપી છે એમ જણાવ્યું હતું.

આદિવાસી વિસ્તારના ગ્રીન ગ્રોથ, હોલિસ્ટિક ડેવલોપમેન્ટ કરી આદિવાસી સમુદાયનો ઇતિહાસ, અસ્મિતા અને વિરાસતો વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું અને સૌ તેનું ગૌરવગાન કરે તેવા આયામો વડાપ્રધાને કર્યા છે. તો ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી વડાપ્રધાન એ સમગ્ર આદિજાતિ સમુદાયને ગૌરવ અપાવ્યું છે. આ પ્રસંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અને વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુત, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, લોકસભા સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ બાબુભાઇ દેસાઈ, ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, સંગઠનના પ્રભારી જયંતિભાઈ કવાડીયા અને પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા, ભારત સરકારના સચિવ વર્ષા જોષી, અગ્ર સચિવ મોના ખંધાર અને એસ.મુરલીક્રિષ્ના, ભારત સરકાર નાણાં વિભાગના નિયામક ડો. રોઝમેરી અબ્રાહમ, કલેકટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અધિકારી- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં આદિજાતિ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *