અમદાવાદ એરપોર્ટ પર કરુણ દુર્ઘટના: ક્રિકેટરોએ વ્યકત કર્યો શોક
અમદાવાદ: મેઘાણીનગર સ્થિત સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બપોરે એક ગોઝારી દુર્ઘટના બની છે. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેક-ઓફ કરતી વખતે ક્રેશ થયું. બપોરે ૧:૩૮ વાગ્યે ટેક-ઓફ થયાના માત્ર બે જ મિનિટમાં, એટલે કે ૧:૪૦ વાગ્યે આ ભયાવહ અકસ્માત સર્જાયો હતો. વિમાનમાં ૨૪૨ પેસેન્જર સવાર હતા અને પ્રાથમિક આશંકા મુજબ ૫૦થી વધુ લોકોના મોત થયા છે.
ક્રેશ થયેલું વિમાન નજીકની હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું, જેના કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તેમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોકટરો અને તેમના પરિવારજનો સહિત અંદાજે ૫૦થી વધુ લોકો રહેતા હતા. આ દુર્ઘટના અંગે ભારતીય ક્રિકેટરો હરભજન સિંહ, શિખર ધવન, ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ સહિત અનેક મહાનુભાવોએ શોક વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી કરતા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે, જેના ફોન નં. ૦૭૯-૨૩૨-૫૧૯૦૦ અને મોબાઈલ નં. ૯૯૭૮૪૦૫૩૦૪ પર સંપર્ક કરી શકાશે. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.