અમદાવાદમાં વિમાન દુર્ઘટના: મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત
અમદાવાદ: આજે (૧૨ જૂન) બપોરે અમદાવાદમાં સર્જાયેલી એક મોટી વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિયાના વિમાનમાં સવાર ક્રૂ મેમ્બર્સ સહિત ૯૧ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આ કરુણ ઘટનાને પગલે રાજ્ય અને કેન્દ્ર સરકાર સક્રિય બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક સુરતથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચી ઘાયલોના ખબરઅંતર પૂછ્યા હતા.
મુખ્યમંત્રીએ આ દુર્ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો અને તેને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. તેમણે બચાવ અને રાહત કાર્યને વેગ આપવા, ઘાયલોને ઝડપી સારવાર માટે ગ્રીન કોરિડોર દ્વારા હોસ્પિટલ પહોંચાડવા, અને હોસ્પિટલોમાં તમામ તબીબી વ્યવસ્થા યુદ્ધના ધોરણે સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે ફોન પર વાતચીત કરી હતી અને NDRF તેમજ કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. હાલ દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.