અમદાવાદ પ્લેન દુર્ઘટના: PM મોદી ઘટના સ્થળે પહોંચ્યા
અમદાવાદ: મેઘાણીનગર સ્થિત સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બપોરે એક ભયાવહ દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેક-ઓફના બે જ મિનિટમાં ક્રેશ થયું. બપોરે ૧:૩૮ વાગ્યે ટેક-ઓફ બાદ ૧:૪૦ વાગ્યે આ કરુણ ઘટના બની હતી.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો તેમના પરિજનોને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા છે અને તેઓ ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર છે. પીએમ મોદી સિવિલ હોસ્પિટલમાં પીડિતોને પણ મળી શકે છે.
સૌથી દુઃખદ સમાચાર એ છે કે, આ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં સમગ્ર દેશ શોકમગ્ન બન્યો છે. તેમના પત્ની અંજલી રૂપાણી પણ લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા અને સીધા ગાંધીનગરમાં નિવાસસ્થાને રવાના થયા હતા.
આ ઘટનામાં, વિમાન જે ઇમારત સાથે અથડાયું તે હોસ્ટેલમાં રહેતા બી.જે. મેડિકલ કોલેજના ચાર ભાવિ ડોક્ટર – રાકેશ દિયોરા, આર્યન રાજપૂત, માનવ ભાદુ અને જયપ્રકાશ ચૌધરી – એ પણ જીવ ગુમાવ્યા છે. જોકે, ભાવેશ સેહતા અને આશિષ મીણા નામના બે મેડિકલ સ્ટુડન્ટની હજુ કોઈ ભાળ મળી નથી. રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.