ગુજરાતમાં મેઘરાજા ખમૈયા કરશે, છતાં ૨૬ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વરસાદ બાદ હવે મેઘરાજા થોડો વિરામ લઈ શકે છે, છતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના સવારના અહેવાલ મુજબ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ એમ પાંચ જિલ્લામાં સવારે ૧૦ વાગ્યા સુધી મધ્યમથી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આ સિવાય અન્ય જિલ્લાઓમાં હળવા કે મધ્યમ વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જારી કરાયું છે. જોકે, ૨૨ ઓગસ્ટના રોજ રાજ્યના કુલ ૨૬ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમારથી અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને કચ્છ જેવા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આગામી બે દિવસ, એટલે કે ૨૩ અને ૨૪ ઓગસ્ટના રોજ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરાયું છે, જે દર્શાવે છે કે વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળશે.