વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન: 31 શ્રદ્ધાળુઓના મોત, એક ડઝનથી વધુ ઘાયલ
જમ્મુ-કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનની એક મોટી દુર્ઘટના બની છે, જેમાં અત્યાર સુધીમાં 31 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આ કરુણ ઘટના મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે, 12 કિલોમીટર લાંબા પગપાળા માર્ગ પર અધકવારી નજીક ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે બની હતી.
રિયાસીના એસએસપી પરમવીર સિંહે પુષ્ટિ કરી કે, ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું અને ઘણા યાત્રાળુઓ કાટમાળ નીચે દટાઈ ગયા. દુર્ઘટના બાદ તરત જ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી. સેના અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સેનાના જવાનો લોકોને સલામત સ્થળોએ ખસેડી રહ્યા છે અને જરૂરિયાતમંદોને મદદ પૂરી પાડી રહ્યા છે.
આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હજારો શ્રદ્ધાળુઓ કટરાથી માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ રહ્યા હતા. દરમિયાન, ભારે વરસાદને ધ્યાનમાં રાખીને અનંતનાગ, કિશ્તવાડ, ડોડા, કઠુઆ, રામબન, ઉધમપુર, રિયાસી, રાજૌરી, જમ્મુ અને સાંબા સહિત ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.